VADODARA : ગણેશજીની આગમન યાત્રામાં "ગેરસમજ" ને પગલે નાસભાગ, પોલીસે બાજી સંભાળી
VADODARA : વડોદરા (VADODARA) માં વિવિધ મંડળોના ગણેશજીની આગમન યાત્રા હાલ ચાલ રહી છે. તેવામાં ગતરાત્રે મધુનગર પાસે કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નિકળી હતી. દરમિયાન અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, આ તકે બે પોલીસ મથકના પીઆઇ સ્થળ પર હાજર હોવાના કારણે તુરંત સ્થિતી સંભાળી લેવામાં આવી હતી. આ ઘટનામાં હોહા-દેકારો કરીને માહોલમાં ગેરસમજ ઉભી થાય તેવું કરનારા તત્વોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમનયાત્રા નિકળી છે
વડોદરામાં ગણોશોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગણેશજીની આગમન યાત્રા, ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા તમામ લોકોમાં આકર્ષણ જમાવે છે. તેવામાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. વડોદરા પોલીસ દ્વારા પણ ગણેશોત્સવને પગલે કમર કસી છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમનયાત્રા નિકળી છે. તેવામાં ગતરાત્રે મધુનગર પાસે કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા સમયે ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે સ્થળ પર હાજર પોલીસ જવાનોએ બાજી સંભાળી હતી. આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, વિસ્તારમાં ગણેશજીની આગમનયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.
ગોરવા અને જવાહર નગર પોલીસ મથકના પીઆઇ હાજર હતા
સમગ્ર મામલે ડીસીપી જુલી કોઠીયાએ જણાવ્યું કે, ગણેશજીની યાત્રી નિકળી હતી. અને વરસાદી વાતાવરણ હતું. અને ડીજે ને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું ડિસ્ટન્સ વધી જતા, ડીજે ની હાઇટ વધારે હોવાથી આગળ વાયરને પગલે ટોળાને સુચન કરતા હોહા-દેકારો કરી મુક્યો હતો. જેથી ગણેશજી ની મૂર્તિ વધારે પાછળ રહી ગઇ હોવાથી લોકોને લાગ્યું કે, પથ્થર મારો થયો છે. જેથી નાસભાગ મચી હતી. અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ રસ્તા પર જ મુકીને પડતા-પડતા ભાગ્યા છે. તે સમયે પોલીસ સ્થળ પર જ હાજર હતી. ગોરવા અને જવાહર નગર પોલીસ મથકના પીઆઇ હાજર હતા. ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કોઇ બનાવ બન્યો નથી. પરંતુ અફવાહ ઉડાડી, હોહા-દેકારા કર્યા છે. અને નાસભાગની સાથે રસ્તામાં પડેલા વાહનોને નુકશાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે. આ નુકશાન કોણે કર્યું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે.
તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું કે, નાસભાગ કરતા હોય, ખોટા અવાજો કરીને ઉશ્કેરણી કરતા હોય તેવા તત્વોને રંગેહાથ દબોચીને લઇ જવામાં આવ્યા છે. તેઓ કોને ઉશ્કેરતા હતા, કે ડિજેને ખસેડવાનો પ્રયત્ન કરતા હતા, તે તપાસનો વિષય છે. તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઇ દુસ્સાહસનો પ્રશ્ન ન્હતો. માત્ર અને માત્ર ગેરસમજનો પ્રશ્ન હતો. કોઇને ઇજા થઇ હોવાનું હાલ સુધી ધ્યાને આવ્યું નથી.
આ પણ વાંચો -- Porbandar : લોકમેળામાં અભેદ્ય સુરક્ષા, તૈયારીને આખરી ઓપ, સોઇલ ટેસ્ટમાં જિલ્લો પ્રથમ