VADODARA : મોટા ગરબા આયોજકો પૂર પીડિતોની સહાય માટે આગળ આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં આવેલા ઐતિહાસીક પૂરમાંથી લોકો બહાર આવી રહ્યા છે. પૂરની પરિસ્થિતીમાં નેતા-કાર્યકર્તાઓ લોકોને મદદ કરી શક્યા નથી. ત્યારે હવે વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા પૂર પીડિત પરિવારોને કુલ મળીને રૂ. 20 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાની નવરાત્રી વિશ્વભરમાં વખણાય છે.
નેતાઓ-કાર્યકર્તાઓ મદદ માટે પહોંચી શક્યા ન્હતા
વડોદરાને રાજ્યની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાની નવરાત્રી વિશ્વવિખ્યાત છે. જેનો આનંદ માણવા માટે લોકો વિદેશોથી પણ દોડી આવે છે. ત્યારે હાલ વડોદરા ઐતિહાસીક પૂરમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે પૂર સમયે વડોદરાવાસીઓની મદદે નેતાઓ-કાર્યકર્તાઓ પહોંચી શક્યા ન્હતા. જેને લઇને લોકોમાં તેમના વિરૂદ્ધ ભારે રોષની લાગણી હજી પણ જોવા મળી રહી છે. વગર ચૂંટણીએ કેટલાક વિસ્તારોમાં નેતા-કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાડતા બેનરો જોવા મળી રહ્યા છે.
400 પરિવારોને પરિવાર દીઠ રૂ. 5 હજારની સહાય
આ વર્ષે નવરાત્રી આડે એકઆદ મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે પૂર પીડિત પરિવારોની વ્હારે વડોદરાના મોટા ગરબા ગણાતા વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો આવ્યા છે. આયોજકો દ્વારા જણાવાયું કે, તેઓ 400 પરિવારોને પરિવાર દીઠ રૂ. 5 હજારની સહાય કરશે. આ સાથે આયોજકો દ્વારા સ્વખર્ચે પણ સહાય-સેવાના કાર્યો પણ કરવામાં આવનાર છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આમ, વડોદરામાં મોટા પાયે ગરબાનું આયોજન કરતા આયોજકો હવે પૂર પીડિતો માટે આગળ આવ્યા છે. જે સરાહનીય વાત છે.
ગરબાના આયોજનની જગ્યાએ તે માટેના પૈસાથી પૂર પીડિતોની સહાય
ગતવર્ષે લક્ષ્મીવિલાસ પેલેસમાં આયોજિત હેરીટેજ ગરબાના આયોજક મંડળમાં વોર્ડ વિઝાર્ડ કંપની હતી. આ વર્ષે કંપની દ્વારા ગરબાના આયોજનની જગ્યાએ તે માટેના પૈસાથી પૂર પીડિતોની સહાય માટેનું બીડુ ઝડપવામાં આવ્યું છે. તેમના દ્વારા પૂર પીડિત પરિવારોને મદદરૂપ થવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : મહિલા નેતા વિરૂદ્ધ બળાપો કાઢનાર પૂર પીડિત વેપારીને જામીન