VADODARA : "નેતાજી અને કાર્યકર્તાઓએ પ્રવેશનું નહીં", ગરબા સ્થળ બહાર લાગ્યું બેનર
VADODARA : વડોદરા (VADODARA) ના ગોરવા-નવાયાર્ડ માં લાલપુરા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ વિસ્તારના લોકો દ્વારા રોડ-રસ્તા સહીતની સમસ્યા કોર્પોરેટરો સમક્ષ વર્ણવવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ ઉકેલ નહીં આવતા આખરે આ પ્રકારે અનોખો વિરોધ દર્શાવ્યો છે. શેરી ગરબા બહાર આ પ્રકારે વિરોધ થયો હોવાની આ પ્રથમ ઘટના છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના ચારેય કોર્પોરેટરો કોંગ્રેસમાંથી ચૂંટાઇને આવ્યા છે. અત્યાર સુધી લોકોના કામો ના થતા હોવાથી ભાજપના કોર્પોરેટરોનો વિરોધ થતો હતો. હવે કોંગ્રેસના કોર્પોરેટરોનો પણ લોકો નકારી રહ્યા છે.
માં અંબા સામુહીક ગરબા મહોત્સવ (શેરી ગરબા) નું આયોજન કરવામાં આવ્યું
વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે. અહિંયા મોટા ગરબાથી લઇને શેરી ગરબાનું અનોખું આકર્ષણ છે. જો કે, પૂરની પરિસ્થિતી બાદથી ગણોશોત્સવમાં નેતાઓનો વિરોધ ખુલીને સામે આવ્યો હતો. જે સિલસિલો હજી સુધી ચાલુ હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના ગોરવા-નવાયાર્ડમાં આવેલા લાલપુરામાં લાલપુરા યુવક મંડળ દ્વારા માં અંબા સામુહીક ગરબા મહોત્સવ (શેરી ગરબા) નું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રવેશ દ્વારા પર નેતાજીઓ અને કાર્યકર્તાનો વિરોધ કરતું બેનર મારવામાં આવ્યું છે.
વારંવાર અરજી કર્યા પછી કોઇ કાર્ય થયા ના હોવાથી
બેનરમાં લખવામાં આવ્યું છે કે, લાલપુરા યુવક મંડળ, ખાસ નોંધ - ભાજપ તથા કોંગ્રેસના નેતાજી અને કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશવું નહીં. વારંવાર અરજી કર્યા પછી કોઇ કાર્ય થયા ના હોવાથી. આ ઘટના સામે આવતા રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અહિંયા રોડ-રસ્તા અને પાણીની સમસ્યા છે. જેને લઇને અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તેનું કોઇ કાયમી નિરાકરણ આવતું નથી. જેને પગલે હવે સ્થાનિકો દ્વારા અનોખી રીતે રાજકીય વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : MSU ના બે વિદ્યાર્થી જૂથ વચ્ચે જાહેરમાં મારામારીને પગલે ઉત્તેજના વ્યાપી