VADODARA : ગણેશજી મૂર્તિ ઉપર ઘનશ્યામ મહારાજને સ્થાન આપતા આક્રોષ
VADODARA : વડોદરા (VADODARA) ના હરણી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ભગવાન ગણેશજીની ઉપર ઘનશ્યામ મહારાજને સ્થાન આપવામાં આવતા વિરોધ શરૂ થયો છે. વડોદરાના સંત અગ્રણી ડો. જ્યોતિર્નાથ બાબા દ્વારા આ મામલે આક્રોષ વ્યક્ત કરતા ઘટનાને વખોડી કાઢી છે. અને આ મામલે ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સનાતનીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી
વડોદરા સહિત દેશભરમાં રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં અન્ય શહેરો કરતા વધુ રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે હરણી વિસ્તારના હિરાનગર ટ્રસ્ટના શ્રીજી પંડાલમાં ગણેશજીની મૂર્તિ પર ઘનશ્યામ મહારાજને સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઇને સનાતન ધર્મીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ પ્રકારે મૂર્તિની બનાવટ કરવાથી ઉંચ-નીચના ભેદભાવને દર્શાવતું હોવાની લાગણી સનાતન ધર્મીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ જો આવનાર સમયમાં મૂર્તિમાં ફેરફાર કરવામાં નહી આવે તો મેદાનમાં ઉતરવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે.
કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પણ અપાશે
નાથ સંપ્રદાયના અગ્રણી ડો. જ્યોતિર્નાથ બાવાએ કહ્યું કે, હરણીના હિરાનગરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. વિધ્નહર્તાની મૂર્તિ ઉપર ઘનશ્યામ મહારાજને મુકવામાં આવ્યા છે. જે અપમાનજનક છે. જેની સામે અમારો અને સનાતન ધર્મના તમામનો વાંધો છે. આ મામલાને લઇને જિલ્લા કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવનાર છે. સાથે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારે લાગણી દુભાવતા કૃત્યો ચલાવી ના લેવાય. આ સાખી લેવા જેવી વાત નથી. વડોદરાની પ્રજાએ જાગૃત બનીને અવાજ ઉઠાવવાની જરૂર છે.
આ પણ વાંચો -- VADODARA : ફ્લેટના ટેરેસ પર અરબી ઝંડો લાગતા ઉત્તેજના, કોર્પોરેટર અકળાયા