VADODARA : આમોદરથી જિલ્લાવ્યાપી સેવા સેતું અને સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ થશે
VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના (PM NARENDRA MODI) જન્મ દિવસ એટલે કે સદ્દભાવના દિનથી વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં યોજનારા વિવિધ સેવાકીય અભિયાનોની માહિતી આપતા કલેક્ટર બિજલ શાહે જણાવ્યું કે, આ દિવસથી સ્વચ્છતા હિ સેવા, સેવા સેતું અને એક પેડ મા કે નામ અભિયાન ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે.
ત્રણેય અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે
સમુહ માધ્યમો સાથે સંવાદ કરતા કલેક્ટર શાહે જણાવ્યું કે, આગામી તા. ૧૭ના રોજ વાઘોડિયા તાલુકાના આમોદર ગામેથી આ ત્રણેય અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાં સવારે ૧૦ વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જનપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
તમામ જગ્યાઓ પર અભિયાન દરમિયાન સફાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાનની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામુહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જનસહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે. ગ્રામ્ય કક્ષા સુધી તમામ જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો, બજારો, નદી, તળાવ આવી તમામ જગ્યાઓ પર અભિયાન દરમિયાન સફાઈ કરાશે.
નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી
સરકારી સંસ્થાઓ, સંકલનના ધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો, જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લાની તમામ શાળા કોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
વિવિધ કમિટીઓ અને ટુકડીઓ બનાવી
શાળા અને કોલેજ કક્ષાએ સ્વચ્છતા અંગેની પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ જેમ કે વોલ પેઈન્ટિંગ, શેરી નાટકો, કળા પ્રતિયોગીતા, અને યુવાનો માટે સ્વચ્છતા અંગેની સેલ્ફી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. વધારેમાં વધારે લોકો આ અભિયાનમાં જોડાય અને તમામ સ્થળો સ્વચ્છ અને સુધડ બને તે માટે લાઈઝનીંગ અધિકારીઓની વિવિધ કમિટીઓ અને ટુકડીઓ બનાવી અભિયાન હાથ ધરવામાં આવશે.
પ્રાંત કક્ષાએ ‘સેવાસેતુ’ કાર્યક્રમનો વધુ એક તબક્કો
સેવા સેતુ અભિયાનની આ શ્રેણીની માહિતી આપતા કલેક્ટરશ્રીએ કહ્યું કે, વહીવટમાં પાદર્શકતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી વડોદરામાં પ્રાંત કક્ષાએ ‘સેવાસેતુ’ કાર્યક્રમનો વધુ એક તબક્કો યોજવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નાગરિકોને સ્થળ પર જ રાજ્ય સરકારની ૫૫ (પંચાવન) પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘર આંગણે મળશે. પ્રાંત કચેરી પ્રમાણે આ સેવા સેતુંના કેમ્પ યોજાશે. તેની સાથે એક પેડ મા કે નામ અભિયાન પણ ચલાવવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લામાં પ્રતિદિન સરેરાશ 150 જેટલા ખાડાઓનું પેચવર્ક