VADODARA : ફટાકડાની 5 દુકાનો-ગોડાઉનોને નોટીસ ફટકારતા ફફડાટ
VADODARA : ડીસામાં અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા સહિત રાજ્યભરમાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. અને ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ફટાકડાની પાંચ દુકાનો-ગોડાઉનોને નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે ફટાકડાના વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. બીજી તરફ ફટાકડાનું વેચાણ કરતા બેદરકાર વેપારીઓ સામે કડક કાર્યવાહીની લોકો સરાહના કરી રહ્યા છે. (ADMINISTRATION SLAP SHOW CAUSE NOTICE TO OWNER OF CRACKER STORAGE - GODOWN - VADODARA DISTRICT)
સુરક્ષાના પાસાંઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે
બનાસકાંઠના ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને પગેલ રાજ્યભરમાં ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સુરક્ષાના પાસાંઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. વડોદરામાં પણ વહીવટી તંત્ર દ્વારા આ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, ગ્રામ્ય મામલતદાર રાજેન્દ્ર જાધવ દ્વારા જિલ્લામાં આવતા ગામોમાં ફટાકડાના લાયસન્સ ધારક વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.
બે વેપારીને ત્યાં ફકાટડાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું
જિલ્લામાં 11 વેપારીઓને ફટાકડા વેચવાની મંજુરી આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે પૈકી પાંચને નોટીસ આપવામાં આવી છે. નોટીસ મેળવનાર પૈકી બે વેપારીને ત્યાં ફકાટડાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે. જે અંગે પ્રાપ્ત વિગતો અુસાર, નેશનલ હાઇવે પાસે આવેલા આલમગીરમાં શ્રી રામ ટ્રેડીંગના વહીવટ કર્તા બીપીન પટેલને શોકોઝ નોટીસ ફટકારાઇ છે. અને તેમને જરૂરી દસ્તાવેજો રજુ કરવા જણાવ્યું છે. સાથે જ જ્યાં સુધી સુરક્ષાના પગલાંની પૂર્તતા ના થાય ત્યાં સુધી ફટાકડાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે.
ત્રણને મળી શો કોઝ નોટીસ
આ સાથે જ તંત્ર દ્વારા ધનીયાવીના શાલિમાર ક્રેકર્સના અરવિંદ ખેરેને પણ નોટીસ ફટકારીને ફટાકડાનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે. તથા દિવાળી પુરા ખાતે આવેલી ભવાની ક્રેકર્સના અમિલ સવાઇ અને સંતોષ સાવંત, આઇબી ટ્રેડીંગના મોહંમદ મુનાફ અબ્દુલક્યૂમ ગોલાવાલા, રૂબી ફટાકડા માર્ટના મોહંમદ નઇમ મોહંમદ સિદ્દીક કાપડવાલાને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. ગ્રામ્યમાં 11 વેપારીઓ ફટાકડા વેચવાનું લાયસન્સ ધરાવે છે.
આ પણ વાંચો --- VADODARA : રામ નવમી નિમિત્તે 27 શોભાયાત્રા નીકળશે, લોખંડી બંદોબસ્ત તૈનાત