VADODARA : કલેક્ટર સાથે MP-MLAની સંકલનની બેઠક મળી, જાણો કયા પ્રશ્નો મુકાયા
VADODARA : આજે કલેકટર કચેરી ખાતે શહેરના સાંસદ તેમજ શહેર જિલ્લાના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિ વચ્ચે સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેકવિધ પ્રશ્નો મુકવામાં આવ્યા હતા.
અલાયદી પંચાયતની જરૂરિયાત
સાવલી તાલુકા વિસ્તારમાં આવેલ વાંકાનેર ગ્રામ પંચાયત હેઠળની રણજીત નગર પેટા પંચાયતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી અને સાવલીના ધારાસભ્યએ આજે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સંયુક્ત રીતે રજૂઆત કરી હતી. સાંસદ અને ધારાસભ્યની સંયુક્ત રીતે કરાયેલી આધાર રજૂઆતને પગલે હવે આગામી દિવસોમાં રણજીતનગર પેટા પંચાયતને અલાયદી ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેની વહીવટી કામગીરી આગળ ધપાવાય તેવી શક્યતાઓ મજબૂત બની છે. સમગ્ર સાવલી તાલુકા ની વસ્તી તેમજ રણજીત નગર ગ્રામ્ય વિસ્તારના વિકાસલક્ષી વહીવટી કામો માટે અલાયદી પંચાયતની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જિલ્લા કલેકટરને સૂચન
આ ઉપરાંત સાંસદે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની 90 શાળાઓમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ માળખાકીય સુવિધાઓને લગતા કામો મંજુર થયા હોવા છતાં તે માત્ર કેટલીક વહીવટી પ્રક્રિયાઓને કારણે હાલ અટકી રહેલી સ્થિતિમાં છે. આ બાબતે પણ સાંસદે જિલ્લા કલેકટરનું ધ્યાન દોરી અટકી રહેલી કામગીરી આગળ ધપાવવા જિલ્લા કલેકટરને સૂચન કર્યું હતું. આ તબક્કે સાંસદે માળખાકીય સુવિધાઓના અભાવે બાળકોના શિક્ષણની ચિંતા પણ કરી હતી. સાંસદે આ સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગનું પણ ધ્યાન દોર્યું છે.
સરકારી જમીનમાં કેટલાક ખાનગી દબાણો
શહેર વિધાનસભા મત વિસ્તાર તેમજ અકોટા વિધાનસભા મત વિસ્તારમાં સરકારી જમીનમાં કેટલાક ખાનગી દબાણો થયા છે. આ દબાણો હેઠળ છુપી રીતે ગુનાઈત પ્રવૃત્તિઓ થઈ રહી હોઈ તે સમાજ માટે નુકસાનકારી હોવા સંદર્ભે સાંસદે જિલ્લા કલેકટર નું ધ્યાન દોર્યું હતુ.
નડતરરૂપ બાબતો સંદર્ભે પણ ચર્ચા
આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રજુ કરેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણને મુદ્દે વહીવટી કામગીરી કયા સ્તર પર છે ? કેટલી આગળ વધી ? તેની પણ સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. આગામી સંકલન સમિતિની બેઠકમાં આ કામગીરીની પ્રગતિ તેમજ તેમ માટે નડતરરૂપ બાબતો સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ અંતમાં સાંસદ ડો. હેમાંગ જોષીએ ઉમેર્યું હતું.
વિવિધ વિભાગોના વડા ઉપસ્થિત
નવી કલેકટર કચેરી સ્થિત ધારાસભા હોલ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આયોજિત કરાયેલી સંકલન સમિતિની બૃહદ મીટીંગમાં શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષી સહિત તમામ ધારાસભ્ય તથા શહેર જિલ્લાના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત જિલ્લા કલેકટર કચેરી હસ્તકના વિવિધ વિભાગોના વડા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેર જિલ્લાના વિકાસ સંબંધિત વિવિધ વહીવટી પ્રશ્નોના નિરાકરણને મુદ્દે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી.
પંથક માં હર્ષની લાગણી વ્યાપી
સાથે જ આજરોજ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી તથા વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાઘોડીયા તાલુકા ના ખેડુતો ની સિંચાઈ માટે ના વિકટ પ્રશ્ન ને લઈ માનનીય મુખ્યમંત્રીને રજુઆત કરતા નર્મદા નિગમ મારફતે સિંચાઈ ના પાણી નું વિતરણ કરવામાં આવતા સમગ્ર વાઘોડીયા પંથક માં હર્ષની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો -- VADODARA : કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન વધુ લોકાભીમુખ બનાવવા સાંસદનો અનુરોધ