VADODARA : અલકાપુરી ગરનાળુ આજે પણ જળમગ્ન
VADODARA : વડોદરા (VADODARA) માં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો જોડતું મહત્વનું અલકાપુરી ગરનાળું આજે પણ બંધ હાલતમાં છે. છેલ્લા ત્રણ દિવસથી અલકાપુરી ગરનાળું પાણી ભરાઇ જવાના કારણોસર બંધ છે. શહેરમાં આજે પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું છે. તેવામાં અનેક વિસ્તારોમાંથી પાણી ઉતરી રહ્યા છે. અને ખાસ કરીને વિશ્વામિત્રી નદી પર આવેલા બ્રિજ પુન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગરનાળુ હજી બંધ રહેવાથી લોકોની મુશ્કેલીઓનો હાલ કોઇ અંત જણાતો નથી.
સુખદ પરિણામ હવે ધીરે ધીરે આવવાના શરૂ થઇ ગયા
વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પૂરની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યું છે. શહેરની સ્થિતી એ હદે ખરાબ થઇ કે, બચાવ કાર્ય માટે આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફને તૈનાત કરવી પડી હતી. ગતરોજ રાજ્ય સરકારના બે મંત્રીઓ શહેરની મુલાકાતે આવ્યા હતા. તે પહેલા જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આજવા ડેમના દરવાજા બંધ કરવાનું ગણતરીપ્રમાણેનું રીસ્ક લીધું હતું. જેના સુખદ પરિણામ હવે ધીરે ધીરે આવવાના શરૂ થઇ ગયા છે. આજે સવારથી જ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે નીચે જઇ રહ્યું છે. સ્થિતી સુધરતા શહેરભરમાં આવેલા વિશ્વામિત્રી બ્રિજ ઉપરના બ્રિજ ખોલી કાઢવામાં આવ્યા છે.
ગરનાળાની સમસ્યાને લઇને સાંસદ દ્વારા પણ સુચન કર્યું
તેવામાં છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું અલકાપુરી ગરનાળું આજે પણ બંધ છે. ગરનાળાના પાણી હજી ઓસરી નથી રહ્યા. આ અગાઉ એક માસ પહેલા પણ ભારે વરસાદના કારણે અલકાપુરી ગરનાળુ ત્રણ દિવસ સુધી બંધ હતું. અલકાપુરી ગરનાળાની સમસ્યાને લઇને સાંસદ દ્વારા પણ બ્રિજ બનાવવા માટેનું સુચન કર્યું હતું. આ તકે, વડોદરાવાસીઓ અલકાપુરી ગરનાળુ વારે વારે બંધ થવાની સમસ્યામાંથી કાયમી મુક્તી મળે તેવું ઇચ્છી રહ્યા છે. હવે આ ઇચ્છા ક્યારે ફળીભૂત થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : પૂરની સ્થિતીમાં ત્રણ દિવસમાં 28 ગામમાંથી 8144 લોકોનું સ્થળાંતર