VADODARA : વગર ચૂંટણીએ નેતા-કાર્યકર્તાઓના બહિષ્કારના બેનર લાગ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ચૂંટણી વગર નેતાઓ અને કાર્યકર્તાઓના બેનર અકોટા વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે. જેના કારણે ભારે ચર્ચા ચાલી રહી છે. પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા, ત્યારે કોઇ પણ નેતા-કાર્યકર્તાઓ સોસાયટીવાસીઓની મદદે નહી આવતા આખરે આ પ્રકારે બેનર મારીને રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઠેર ઠેર લોકો ચૂંટાયેલા પ્રતિનિધીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે
વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. પૂરના કારણે સર્જાયેલી સ્થિતીમાં અનેક પરિવારોને નાનું-મોટું નુકશાન પહોંચ્યું છે. પૂરની પરિસ્થિતીમાં ખાસ કરીને કોર્પોરેટર અને ધારાસભ્યો લોકોની મદદે ન પહોંચ્યા હોવાની બુમો ઉઠવા પામી છે. ત્યારે ઠેર ઠેર લોકો ચૂંટાયેલા પ્રતિનિધીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તેવામાં એક અનોખી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ચૂંટણી ટાણે નેતા-કાર્યકર્તાઓનો બહિષ્કાર કરવામાં આવ્યા હોવાના બેનરો મારવામાં આવે છે. પરંતુ આ વખતે તો કોઇ પણ પ્રકારની ચૂંટણી વગર જ અકોટા વિસ્તારમાં આ પ્રકારના બેનર સામે આવ્યા છે. જેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે.
ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા ખરા સમયે મદદ કરવાની જગ્યાએ લોકોની અવગણના
શહેરના અકોટા વિસ્તારમાં આવેલા પરષોત્તમ નગરના દરવાજે બેનર લગાડવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ સોસાયટીમાં કોઇ પણ રાજકીય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં. સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા ભેગા મળીને આ નિર્ણય જાહેર કર્યો હોવાનું પોસ્ટર પરથી જણાઇ આવે છે. આ પોસ્ટરે વિસ્તારમાં ભાગે ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે બહિષ્કાર કરીને લોકોને નેતાઓ પ્રત્યેનો રોષ પ્રગટ થતો હોય છે. પરંતુ આ વખતે તો વગર ચૂંટણીએ લોકોનો રોષ સામે આવી રહ્યો છે. આ વખતે ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા ખરા સમયે મદદ કરવાની જગ્યાએ લોકોની અવગણના કરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે. ત્યારે નેતાઓએ લોકોને વિશ્વાસ જીતવા માટે ઘણી મહેનત કરવી પડશે તેવું હાલ લાગી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : નાગરિકે મદદ માંગતા ભાજપના મહિલા કોર્પોરેટરે કહ્યું, "જાતે કરી લો"