VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોને કાઢી મુકવાની તૈયારી
VADODARA : તાજેતરમાં રાજ્યભરમાં ગુલ્લેબાજ શિક્ષકોનો મુદ્દે ઉઠળ્યો હતો. તે બાદ વડોદરા (VADODARA) જિલ્લા પંચાયત વિભાગના 9 શિક્ષકો સતત ગેરહાજર રહેતો હોવાની વાત ધ્યાને આવી હતી. ત્યાર બાદ જિલ્લા પંચાયત દ્વારા તમામ શિક્ષકો વિરૂદ્ધ નોટીસ ઇશ્યુ કરી હતી. અને તેમના પક્ષે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. પરતું એક પણ શિક્ષક પોતાનો પક્ષ મુકવા માટે ફરક્યુ ન્હતું. આખરે બુધવારે તમામની નોકરીમાંથી કાઢી મુકવાનો ઓર્ડર ઇશ્યુ કરવામાં આવી શકે છે, તેવું સુત્રો જણાવી રહ્યા છે.
90 દિવસ સુધીની રજા મળવાપાત્ર
રાજ્યભરમાં ગુલ્લેબાજ શિક્ષકોને લઇને સરકાર અને તંત્ર ચિંતીત છે. અને હવે ગુલ્લેબાજો સામે આકરી કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. નિયમાનુસાર શિક્ષકોને 90 દિવસ સુધીની રજા મળવાપાત્ર છે. કેટલાક કિસ્સામાં શિક્ષકો દ્વારા રજા લેવામાં ન આવી હોવાનું તો કેટલાક કિસ્સામાં રજાની પરવાનગી લંબાવવામાં આવી ન હોવાનું જિલ્લાની શાળાઓના 9 શિક્ષકોના કિસ્સામાં સામે આવ્યું હતું.
શિક્ષકોને અગાઉ પણ નોટીસ આપવામાં આવી હતી
તે પૈકી વડોદરા તાલુકાની બીલ શાળાના એચ.ટાટ આચાર્ય શિક્ષક ભાવિનાબેન પટેલ, તેમજ ઉપ શિક્ષકમાં પાદરાની ચોરંદા પ્રાથમિક શાળાના પ્રકાશ વાળંદ, પાદરાની ટીમ્બીપુરા પ્રાથમિક શાળાના જાગૃતિબેન મેવાડા, પાદરાની સોખડા રાધુ પ્રાથમિક શાળાનવા કોમલબેન બારોટ, પાદરાની ધોરીવગા પ્રાથમિક શાળાના ઇન્દ્રજિતસિંહ સિસોદીયા, પાદરાની લકડીકુઇ પ્રાથમિક શાળાના વૈશાલીબેન પટેલ, કરજણની ગણપતપુરા પ્રાથમિક શાળાના સોનિકા પટેલ, કરજણની બોડકા પ્રાથમિક શાળાના પ્રવિણ સોલંકી અને કરજણની મિયાગામ કુમાર પ્રાથમિક શાળાના કોમલબેન ત્રિવેદી છે. આ શિક્ષકોને અગાઉ પણ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેમણે તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો ન્હતો.
ગુલ્લેબાજ શિક્ષકોના કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહીની તૈયારી
સુત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ઉપરોક્ત તમામ ગુલ્લેબાજ શિક્ષકો વિરૂદ્ધમાં નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. અને ત્રણ દિવસમાં પોતાનો પક્ષ મુકવા માટે જણાવાયું હતું. છતાં 9 પૈકી એક પણ શિક્ષક જિલ્લા પંચાયતની પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં હાજર થયો ન્હતો. જેથી તમામ સામે મંગળવાર સુધીમાં કાર્યવાહી હાથ ધરીને બુધવાર સુધીમાં તેમને કાઢી મુકવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જિલ્લા વહીવટી તંત્ર ગુલ્લેબાજ શિક્ષકોના કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સંકલનની બેઠક બાદ ધારાસભ્યોની ચિમકી, "પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો બહિષ્કાર"