VADODARA : માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું
અહેવાલ - વિજય માલી, વડોદરા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામ ખાતે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરે આઠમ નિમિતે ધજા બદલવા મંદિર પર ચડેલ યુવકને વીજ કરંટ લાગતા મંદિર ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. નવરાત્રિ સમયે માની સેવા કરતા યુવકના મોતના સમાચાર સાંભળી નાનકડા ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાલી ગામે તળાવની પાળ પર આવેલા હરિસિદ્ધ માતાના મંદિરે ગતરોજ આઠમ નિમિતે ધજા બદલવાની હોય ગામના મંદીરવાળા ફળિયામાં રહેતો 30 વર્ષીય દીક્ષિતકુમાર પ્રવીણભાઈ મહારાજ મંદિરની ધજા બદલવા માટે મંદિરે ગયો હતો. દીક્ષિતકુમાર મંદિરની ધજા બદલવા માટે લોખંડની પાઇપમાં ધજા ભરાવીને મંદિર ઉપર ચડ્યો હતો. દરમિયાન મંદિર ઉપરથી પસાર થતી વીજ લાઈનને લોખંડનો પાઈપ અડી જતા દીક્ષિત કુમારને વીજ કરંટ લાગતા તે મંદિર પરથી નીચે જમીન પર પટકાયો હતો.
વીજ કરંટ લાગતા મંદિર ઉપર થી નીચે પટકાયેલ દીક્ષિત કુમારને માથાના ભાગે પથ્થર વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે કરજણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું તેવું ફરજ પરના તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો -- સુરતમાં હત્યાની ઘટનામાં સતત વધારો, 7 દિવસમાં 8 લોકોની કરાઈ હત્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે