વન વિભાગે દબાણ હટાવતા અસરગ્રસ્તોએ અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી
દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. આ તાલુકાની વાત કરવામાં આવે તો આ તાલુકામાં નાના મોટા 180 કરતાં પણ વધુ નાના-મોટા ગામો આવેલા છે આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. છેલ્લા 2-3 મહિનાથી વન વિભાગ દ્વારા કોટેશ્વર વિસ્તારમાં વન વિભાગની જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરાયા હતા. ત્યારબાદ કોટેશ્વર ખાતે પણ દબાણને લઈને તમામ 72 દુકાનો પણ બંધ રહી હતી,ત્યારબાદ 25 ઓગસ્ટના રોજ વન વિભાગ દ્વારા પોલીસ કાફલા સાથે ગબ્બર પાછળના વિસ્તારમાં ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અંતર્ગત જગ્યામાં થયેલા દબાણ દૂર કરાયા હતા.
લડી લેવાના મૂડમાં
અહીં સૌથી વધુ દબાણ આદિવાસી સમાજના હતા. આદિવાસી લોકોના દબાણ દૂર થતાં શનિવારે મોટી સંખ્યામાં વિવિધ વિસ્તારોમાંથી આદિવાસી સમાજના આગેવાનો બેડા પાણી ગામે એકઠા થયા હતા અને લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ જે 18 લોકોના દબાણ દૂર કરાયા હતા જે તમામ પરિવારો અંબાજી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને ધરણા કર્યા હતા અને તેમની મુખ્ય માંગ હતી કે વન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. અંબાજી આસપાસના ગામોના સરપંચ પણ હાજર રહ્યા હતા.
પોલીસ મથકનો ઘેરાવ
આદિવાસી જન કલ્યાણ વિકાસ સંગઠનના પ્રમુખ દામા રાજેશકુમાર રામાભાઇ અને તેમની સાથે વિવિધ વિસ્તારમાંથી આવેલા અને વિવિધ ગામોથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો ગબ્બર પાછળના વિસ્તારમાં જે લોકોના દબાણ દૂર કર્યા હતા તે ઘરોની અને તે લોકોની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પોલીસ વિભાગને ચેતવણી આપી હતી અને ત્યારબાદ તમામ લોકો અંબાજી પોલીસ મથકે આવ્યા હતા અને અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
ન્યાય માટે રજૂઆત
સમગ્ર અંબાજી પોલીસ સ્ટેશન આદિવાસી સમાજ અને કોટેશ્વરના વિવિઘ સમાજના લોકોથી ભરાઈ ગયું હતું થોડા સમયમાં વન વિભાગના અધિકારી મહેન્દ્રસિંહ વાઘેલા આવ્યા હતા અને તેમને પણ આદિવાસી સમાજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આમ પાંચ કલાકથી વધુ સમયથી અંબાજી પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજ મક્કમતાથી ન્યાય માટે બેઠા હતા .મહિલાઓ નાના બાળકો સાથે પુરુષો પણ અંબાજી પોલીસ સ્ટેશનમાં આવીને ન્યાય માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
અધિકારીઓ દોડતા થયા
જિલ્લાથી ડીવાયએસપી,અંબાજી પીઆઈ, પીએસઆઇ, પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના અધિકારીઓ પણ અંબાજી પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી હાલમાં ઉદયપુર ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં ગયેલા છે, તે કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ દાંતા તાલુકાના આદિવાસી સમાજના લોકોની મુલાકાત લે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ પણ વાંચો : યાત્રાધામ અંબાજીમાં આવેલી હોટલમાં ચાલતું હતું જુગારધામ, 13.99 લાખના મુદ્દામાલ સાથે 19 ઝડપાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.