હિંમતનગર સહિત જિલ્લાના અનેક ઠેકાણે આવેલા શિવાલયો ભોલેના નાદ સાથે ગુંજી ઉઠયા
- લોકોએ પ્રસાદ સમાન ભાંગપી દર્શન કરી ધન્યતા અનુભવી
- વહેલી સવારથી દર્શન કરવા માટે ભકતોની ભીડ જામી હતી
- ભક્તોએ શિવજીને બિલપત્ર અર્પણ કરી દર્શનનો લાભ લીધો
Himmatnagar: સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં બુધવારે મહા શિવરાત્રી હોવાને નાતે હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળે આવેલા શિવાલયોમાં વહેલી સવારથી દર્શન કરવા માટે ભકતોની ભીડ જામી હતી. જયાં અનેક ભકતોએ આસ્થાના પ્રતિક સમાન શિવલીંગને દૂધ અને પાણીનો અભિષેક કર્યા બાદ બિલપત્ર અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો. તો કેટલાક ભકતોએ વહેલી પરોઢે શિવાલયોમાં પહોંચી ચાર પ્રહરની પૂજાનો લાભ લીધો હતો. સાથોસાથ હિંમતનગર તાલુકાના રાયગઢ સ્થિત વૈજનાથ મહાદેવમાં તૈયાર કરાયેલ તેજોમય શિવલીંગના ભકતોએ દર્શન કર્યા હતા.
સવામણ રૂની દિવેટ પ્રગટાવીને જયોતને પ્રકાશિત કરાઇ
હિંમતનગર તાલુકાના બેરણામાં બુધવારે મહા શિવરાત્રી નિમિત્તે કંટાળેશ્વર ધામમાં ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સવામણ રૂની દિવેટ પ્રગટાવીને જયોતને પ્રકાશિત કરાઇ હતી. તેમજ વિશ્વ કલ્યાણ માટે ઉપસ્થિત ભકતોએ પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે બેરણા ખાતે ૫૧ ફુટ ઉંચી પ્રતિમા છે. જેની પર ૧૦૦૮ શિવલીંગ છે. જેથી આ પ્રતિમાને અનેક ભકતો સહસ્ત્રલીંગ ધારી શિવજી તરીકે ઓળખે છે. તેજ પ્રમાણે રાયગઢ ખાતે આવેલ વૈજનાથ મહાદેવના પ્રાંગણમાં આ વર્ષે ૨૧ ફુટ ઉંચુ તેજોમય શિવલીંગનું ગામના યુવાનો દ્વારા નિર્માણ કરાયુ છે. જેમાં ચણાના લોટમાંથી બનાવાયેલ ૧૨ શિવલીંગના વિવિધ સ્વરૂપોના ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: વાળીનાથ મંદિરમાં પરિવારે કર્યુ દીકરાનું દાન, મહંત જયરામગીરી બાપુએ વ્યક્ત કર્યો રાજીપો
શિવલીંગની પૂજા કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી
તેજ પ્રમાણે હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર મહાદેવમાં બુધવારે શિવરાત્રી નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા ખજૂર તથા ભાંગના પ્રસાદનું સફળ આયોજન કર્યુ હતુ. તેમજ શિવલીંગની પૂજા કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત રાત્રે મહાઆરતી પણ યોજાઇ હતી. સાથો સાથ ભોલેશ્વ, ઝરણેશ્વર, કાશી વિશ્વનાથ મહાદેવમાં પણ આનંદ અને ઉલ્લાસ સાથે મહા શિવરાત્રીની ઉજવણી કરાઇ હતી. તેજ પ્રમાણે પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં આવેલ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે દર્શન કરવા માટે ભકતોએ ઘસારો કર્યો હતો. કેટલાક શિવાલયોમાં ચાર પ્રહરની પૂજાનું પણ આયોજન કરાયુ હતુ.
આ પણ વાંચો: Mahakumbh 2025: મહાશિવરાત્રીમાં અત્યાર સુધી 1.18 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન!
મંદિરમાં શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન
ઉપરાંત ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ મંદિર તરીકે ઓળખાતા ઈડર તાલુકાના બોલુન્દ્રા સ્થિત કાલભૈરવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરાયુ હતુ. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામજનો, કાલભૈરવ મંદિરના અગ્રણીઓ અને ભકતોની ઉપસ્થિતમાં ધજા રોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેના દર્શન કરીને સ્થાનિક તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભકતોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.