Sabarkantha: પતંજલિના નામે વેચતા હતા સબ સ્ટાન્ડર્ડ માલ, 13 શકમંદોને ફટકારાયો રૂપિયા 280000 નો દંડ
- સુપર માર્કેટમાં વેચાતા ગાયના ઘીના નમૂના લેવાયા હતા
- અધિક નિવાસી કલેકટરે ચુકાદો જાહેર કર્યો
- પતંજલિના નામે વેચાતા ઉત્પાદનો સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું
Sabarkantha: નકલી નકલી અને નકલી! રાજ્યમાં નકલીએ અત્યારે માઝા મુકી દીધી છે, કોઈ એવો વિભાગ ખાલી નથી રહ્યો કે જેમા આ નકલીનું દુષણના પહોંચ્યું હોય. ખાદ્ય પદાર્થોમાં તો નકલીની દુષણ હવે જાણે ઘર કરી ગયું છે. હવે પતંજલિના નામે વેચાતા ઉત્પાદનો સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. હવે આમાં પણ જો સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યાં હોય તો લોકો કોના પર વિશ્વાસ કરશે? આ તો ભારતના લોકોને આપવામાં આવતું ધીમું ઝેર છે.
ગાયના ઘીના કેટલાક પેકીંગ નમૂના માટે લીધા હતા
સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ એક સુપર માર્કેટમાં વેચાતા કેટલાક ખાદ્ય પદાર્થો યોગ્ય ગુણવત્તાવાળા ન હોવાનું માનીને એક વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન વિભાગના અધિકારીઓએ સત્વરે સમયે સુપર માર્કેટની તપાસ કરીને તેમાંથી ગાયના ઘીના કેટલાક પેકીંગ નમૂના માટે લીધા હતા. જેના પૃથ્થકરણ માટે રાજય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેમાં પતંજલિના નામે વેચાતા ઉત્પાદનો સબ સ્ટાન્ડર્ડ જણાતા માલિક, વિક્રેતા અને સપ્લાયર મળી 13 જણા વિરૂધ્ધ હિંમતનગર સ્થિત નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી.જેનો ચુકાદો તાજેતરમાં આવી જતા નિવાસી અધિક કલેકટરે 13 જણાને કસુરવાર ઠરાવી કુલ મળી રૂપિયા 02.80 લાખનો દંડ ફટકાર્યો હતો.
પતંજલિના લેબલ હેઠળ વેચાતા ગાયના ઘીના ચાર પેકીંગ મળી આવ્યાં
આ અંગે નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ણા એ. વાઘેલાએ આપેલા ચુકાદામાં જણાવ્યા મુજબ વર્ષ 2023માં તલોદમાં આવેલ આધાર સુપર માર્કેટની ફ્રુડ ઇન્સ્પેકટર તથા તેમની ટીમે મુલાકાત લઇને વિવિધ ખાદ્ય ઉત્પાદનોની ચકાસણી કરી હતી. જેમાં પતંજલિના લેબલ હેઠળ વેચાતા ગાયના ઘીના ચાર પેકીંગ મળી આવ્યાં હતાં. જેથી ફ્રુડ ઇન્સ્પેકટરે તેની ચકાસણી કરવાના આશયથી અલગ લઇ તેના નમૂના વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. જ્યાંથી રિપોર્ટ આવી ગયા બાદ ગાયના ઘીમાં ખાદ્યપદાર્થ સબસ્ટાર્ન્ડડ હોવાથી અધિનિયમની કલમ 26(1), 26 (2) તથા કલમ 27 (1)ની જોગવાઇ મુજબ વિક્રેતા, સપ્લાયર અને વેચાણકર્તા માલિકએ કાયદાનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યુ હતુ.
આ પણ વાંચો: Gujarat: શું ખેડૂતોની ચિંતા વધશે? રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ કમબેક કર્યું!
17 જાન્યુઆરીના રોજ નિવાસી અધિક કલેકટરે પોતાનો ચુકાદો જાહેર કર્યો
નોંધનીય છે કે, નિવાસ અધિક કલેકટરની કોર્ટમાં કેસ દાખલ થયા બાદ તમામને રૂબરૂ સાંભળવા માટે બોલાવાયા હતા. પરંતુ મુદતમાં વિક્રેતા તથા સપ્લાયર હાજર ન રહેતા લગભગ ત્રણથી ચાર વખત મુદત આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લી મુદતમાં ઉપસ્થિત રહેલા કેટલાક વિક્રેતા અને સપ્લાયરોએ પોતાનો બચાવ કરવા માટે દલીલ કરી હતી. પરંતુ નિયમ વિરૂધ્ધ હોવાથી અધિક કલેકટરે તેને ખારીજ કરી દીધી હતી.તારીખ 17 જાન્યુઆરીના રોજ નિવાસી અધિક કલેકટરે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં ત્રણ જણાને રૂપિયા 03 હજાર, અન્ય ચાર જણાને રૂપિયા 10 હજાર તથા અન્ય બે જણાને સંયુકત રીતે રૂપિયા 10 હજાર અને ચાર જણાને અંદાજે રૂપિયા 02.80 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મળવા ગયેલા પ્રેમીને પરણિત પ્રેમિકાના પિતા આપી મોતની સજા, વાંચો આ ચોંકાવનારી ઘટના
દંડની ભરપાઈ નહીં કરવામાં આવે તો કાર્યવાહી થશે
અધિક કલેકટરે હુકમમાં જણાવ્યા મુજબ દંડની રકમ હુકમ તારીખથી 30 દિવસમાં સરકાર માન્ય બેંકની શાખામાં જમા કરાવી તેની પ્રત મદદનીશ કમિશ્નર કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હિંમતનગરને રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી. જો દંડની રકમ સમય મર્યાદામાં ભરપાઇ નહી કરવામાં આવે તો જમીન મહેસુલની બાકી તરીકે વસુલાત કરવા માટે નિયમોનુસાર કાર્યવાહી સારૂ મામલતદાર અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વિવિધ સ્થળે આવેલ સુપર માર્કેટના માલિકો અને સંચાલકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રલોભનો આપી આકર્ષક પેકીંગમાં ખાદ્ય ચીજો સહિત અન્ય પેદાશો વેચી રહ્યા છે. ત્યારે ખરીદનાર વર્ગે લાલચમાં આવ્યા સિવાય તેની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવો જોઇએ.
અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો: Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો