રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીનો શુભારંભ કરાવ્યો
"અબ કી બાર મોદી સરકાર"ના ભીત ચિત્રણ વડે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીનો શુભારંભ કરાવ્યો હતો. ભીત ચિત્રણની સાથે લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીના શુભારંભ પ્રસંગે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ તોડકાંડ મામલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે,માહિતી અને કાર્યવાહી અંગે ગુજરાત સરકાર દ્વારા પ્રો-એક્ટિવલી પગલાં ભરવામાં આવી રહ્યા છે. આવતીકાલે ગુજરાત પોલીસ દ્વારા આ અંગેની વધુ માહિતી આપવામાં આવશે.
લોકસભાની ચૂંટણીલક્ષી પ્રચારનો શુભારંભ થઈ ચૂક્યો છે. ભાજપ દ્વારા શહેર અને જિલ્લાઓમાં ભીત ચિત્રણ દ્વારા "અબ કી બાર મોદી સરકાર "ના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચાર જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મજુરા વિધાનસભા મત વિસ્તારમાં ભીત ચિત્રણ દ્વારા અબ કી બાર મોદી સરકાર "ના નારા સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓની શરૂવાત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે મજુરા વિધાનસભાના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મજુરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 21 ના કાર્યકર્તાઓ દ્વારા અબકી બાર મોદી સરકારના સંકલ્પ અને નારા સાથે વોલ પેન્ટિંગ ની શરૂઆત કરવામાં આવી છે. કશ્મીર થી કન્યાકુમારી સુધી ગામડે ગામડે અને ગલીઓ સુધી અબકી બાર મોદી સરકારના નારા સાથે દરેક વર્ગ અને સમાજના લોકો દ્વારા ભીત ચિત્રો અને વોલ પેન્ટિંગ બનાવવામાં આવી રહી છે. આજે મજુરા વિધાનસભાની સોસાયટીના લોકો અને કાર્યકરો સાથે મળવાનો અવસર પ્રાપ્ત થયો છે.
વધુમાં જુનાગઢમાં પીઆઇ તરલ ભટ્ટ તોડકાંડ મામલે રાજ્ય ગૃહ મંત્રીને કરાયેલા પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, જે કોઈ માહિતી અને કાર્યવાહી છે તે પ્રો-એક્ટિવલી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ તરફથી ભરવામાં આવ્યા છે. જે વિષય પર વિભાગ દ્વારા તબક્કા વાર માહિતી પણ આપવામાં આવે છે. જ્યાં ફરી આવતીકાલે ગુજરાત પોલીસ દ્વારા આ અંગેની વધુ માહિતી આપવામાં આવશે.
અહેવાલ - આનંદ પટણી
આ પણ વાંચો -- મૂઠી ઉંચેરા નવલોહીયા યુવાનને પ્રેરણાદાયી શ્રધ્ધાંજલી,108 લોકોએ કર્યું રક્તદાન