Deodar: ઓગડ જિલ્લાની માગ અંગે સૌથી મોટા સમાચાર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું મોટું નિવેદન
- રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને કરીશ: કેશાજી
- લોકોની લાગણી-માંગણી સરકાર સુધી પહોંચાડીશ: કેશાજી
- ઓગડ જિલ્લો બનાવવા રજૂઆત કરી હતી: કેશાજી
Deodar: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને અત્યારે મોટો વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં પરંચુ ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ધારાસભ્યને આવેદન આપ્યું છે. આ લોકો દ્વારા ધારાસભ્યને આવેદન આપી દિયોદરમાં ઓગડ જિલ્લાની માંગણી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે.
દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવા માંગ
રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જીલ્લો બનાવવામાં આવ્યો છે. જોકે આ જિલ્લાના વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વન્ટોળ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે. દિયોદર વિસ્તારના લોકો દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો નામ આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસના વિરોધ પ્રદર્શન બાદ આજે દિયોદરના આઝાદ ચોક ખાતે હજારોની સંખ્યામાં એક મહાસભા યોજાઈ અને દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરાઈ છે.
આ પણ વાંચો: દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા, BJP-કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે!
ઓગડ જિલ્લો બનાવવા રજૂઆત કરી હતી: કેશાજી ચૌહાણ
આ સમગ્ર મામલે અત્યારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું નિવેદન પણ સામે આવ્યું છે. જોકે આ મહાસભામાં હજારો લોકો તો ઉમટ્યા પરંતુ કેશાજી ચૌહાણ આ મહાસભાથી દૂર રહ્યા હતા. આ બાબતે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણએ કહ્યું કે, મારી જવાબદારી મારા વિસ્તારની પ્રજાની માંગ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની છે, તે મેં અગાઉ પહોંચાડી પણ છે અને હજુ પણ આગામી સમયમાં પહોંચાડતો રહીશ. એટલું જ નહીં પરંતુ ઓગડ જિલ્લો બનાવવા માટે રજૂઆતો કરી હોવાનું પણ કેશાજી ચૌહાણે જણાવ્યું છે.
આ પણ વાંચો: Banaskantha Division મુદ્દે વિરોધનો વંટોળ! દિયોદરમાં વિશાળ જનસભા, ઉપવાસ આંદોલનની જાહેરાત!
ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું
મહત્વની વાત છે કે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ સાથે હજારો લોકો સભામાં ઉમટ્યા હતાં. આ સભામાં રાજકીય પક્ષોના આગેવાનો પણ એક મંચ પર જોવા મળ્યા અને તમામ લોકોએ એક જ માંગ કરી કે દિયોદર જિલ્લા મથક બનવું જોઈએ. જો કે સભા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. ભરતસિંહ વાઘેલા સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, વાવ થરાદ જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રમાઈ ગયું છે. આ સાથે જ ભરતસિંહ વાઘેલાએ ચીમકી ઉચારી છે કે, સરકાર અમારા દિયોદર જિલ્લા મથક બનાવે અથવા તો પછી દિયોદરને બનાસકાંઠામાં જ યથાવત રહેવા દે’.