BHARUCH : વેકેશનમાં નર્મદા ફરવા જતા લોકો ખાસ વાંચે, નહિ તો પસ્તાવું પડશે
- BHARUCH ના નાદ ગામે નર્મદા નદીમાં નાહવા ગયેલાને મગર ખેંચી ગયો
- મગરોના ભય વચ્ચે પણ ગ્રામજનો નર્મદા નદીમાં સ્નાન કરવા જતા હોવાના અહેવાલો
- ગણપતસિંહ સોમાભાઈ કરગટીયાને મગર નદીના વહેણમાં ખેંચી ગયો
- ગ્રામજનોએ ફાયર ફાઈટરને જાણ કરતા નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો
BHARUCH : ભરૂચ ( BHARUCH ) જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીમાં પણ ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો નહવાની મજા માણતા હોય છે, ત્યારે નાદ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા આધેડને મગર પાણીના વહેણમાં ખેંચી જતા ગંભીર ઈજાના કારણે મોત થતા કલાકોની શોધખોળ બાદ આખરે આધેડના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ભરૂચના ( BHARUCH ) પૂર્વ પટ્ટી વિસ્તારમાં ઝનોર પછી નાદ ગામ આવેલું છે અને નાદ ગામે સવારના સમયે 60 વર્ષીય આધેડ ગણપતસિંહ સોમાસિહ કરગટીયા નર્મદા નદીમાં નાહવા ગયા હતા. તેઓ કિનારા નજીક ઠંડા પાણીમાં સ્નાનની મજા માણી રહ્યા હતા તે દરમિયાન પાછળથી અચાનક મગર આવી ગયો હતો અને મગરે ગણપતસિહનો પગ પકડી તેને પાણીની અંદર ખેંચી ગયા હતા. કિનારા ઉપર રહેલા લોકોએ આ દ્રશ્ય જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ કોઈની તાકાત ન હોતી કે નર્મદા નદીમાં કૂદી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે.
કલાકો બાદ ફાયર ફાઈટર અને સ્થાનિકોને જાણ થતા લોકોએ દોડી આવી બોટ મારફતે મગર ખેંચી ગયેલા ગણપતસિંહ સોમાસિહ કરગટીયાને શોધવાના પ્રયાસ કરતા કલાકો બાદ તેઓ મૃતક અવસ્થામાં નદીના પાણીમાંથી મળી આવ્યા હતા. તેમના શરીરના ભાગ ઉપર મગરે હુમલો કર્યો હોય અને દાંતના નિશાનો પણ જોવા મળ્યા હતા. જેના કારણે નર્મદા નદીમાં નાહવા ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે.