BHARUCH : ઉદ્યોગોના પાપે તળાવમાં કેમિકલ યુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત
- BHARUCH માં કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે સંખ્યાબંધ માછલાઓના મોત
- મત્સ્ય ઉદ્યોગના લોકોએ ન્યાય મેળવવા માટે ખખડાવ્યા GPCB ના દ્વાર
- કેમિકલ યુક્ત પાણી આરોગે તો એ માછલી માનવ જીવ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે
એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ સ્થપાય તેટલા જ ઉદ્યોગ માત્ર BHARUCH જિલ્લામાં સ્થપાયેલા છે અને આ ઉદ્યોગોના પાપે ખેડૂતો સાથે હવે માછીમારો પણ પાલમાલ બની રહ્યા છે. BHARUCH ના અંકલેશ્વર પંથકના ઉમરવાડા ગામે તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવવાના કારણે સંખ્યા બંધ માછલાઓના મોત થતા વેપારીને લાખોનું નુકસાન થતાં તેણે જીપીસીબીનો સહારો લેતા જીપીસીબીએ પણ રાબેતા મુજબ સેમ્પલો લઈ કાર્યવાહી શરૂ કરી છે.
તળાવમાં દેખાઈ સંખ્યાબંધ મૃત માછલીઓ
BHARUCH જિલ્લાના અંકલેશ્વર પંથક સહિતના અનેક ઉદ્યોગોમાં વરસાદી સીઝનનો લાભ વરસાદી પાણી સાથે કેટલાક ઉદ્યોગકારો પોતાનું પ્રદૂષણ કેમિકલ યુક્ત પાણી પણ છોડી દેતા હોય છે. જેના કારણે જળચર જીવો સાથે પર્યાવરણને નુકસાન થતું હોય છે. આવો જ એક કિસ્સો અંકલેશ્વર પંથકના ઉંમરવાડા ગામેથી આવ્યો છે. જેમાં મત્સ્ય ઉદ્યોગ એટલે કે તળાવમાં મચ્છીઓનું ઉત્પાદન કરવા માટે બિયારણ નાખ્યું હતું. પરંતુ સંખ્યાબંધ માછલીઓનું ઉત્પાદન થતા જ બેજવાબદાર ઉદ્યોગના કારણે પ્રદૂષણ એટલે કે કેમિકલ યુક્ત પાણી છોડવાના કારણે મત્સ્યના વેપારી ઈકવાલ શેખના તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવવાના કારણે સંખ્યા બંધ માછલાઓના મોત થયા હતા. આ દ્રશ્ય જોઈને ખુદ મત્સ્ય ઉદ્યોગ ચોકી ઉઠ્યા હતા અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
મત્સ્ય ઉદ્યોગના લોકોએ ન્યાય મેળવવા માટે ખખડાવ્યા GPCB ના દ્વાર
ઉદ્યોગપતિઓના પાપે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હવે તળાવમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા મચ્છીના વેપારીઓ પણ પાયમાલ બની રહ્યા છે. જેના કારણે હવે મત્સ્ય ઉદ્યોગના લોકો પણ ન્યાય મેળવવા માટે જીપીસીબીના દ્વાર ખખડાવી રહ્યા છે. જીપીસીબીની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી તળાવમાં રહેલા પાણીના સેમ્પલ સાથે મૃતક માછલીઓ પણ તપાસ સાથે લીધી છે અને કયા કંપનીએ કેમિકલ છોડ્યું છે જેના કારણે જળચર જીવોને નુકસાન થયું છે અને પર્યાવરણને નુકસાન કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
કોના પાપની કોને સજા?
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ ઓકતા હોય છે જેનો ભોગ ખેડૂતો અને માછીમારો બનતા હોય છે. જીપીસીબી પણ રાબેતા મુજબ માત્ર સેમ્પલ લેવાનું કામ કરી ઉપર રિપોર્ટ મોકલ્યો છે તેવું રટણ કરતા હોય છે. જેના પાપે ઘણી વખત નાના મત્સ્ય ઉદ્યોગ અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે.
ચોમાસાની સિઝનમાં માછલીનો સ્વાદ માણતા લોકો માટે બની શકે છે નુકસાનકારક
ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો લાભ કેટલાક ઉદ્યોગપતિઓ કેમિકલ યુક્ત પાણી અને પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે જે નજીકના તળાવો અને અન્ય નાળાઓમાં જતા હોય છે જેમાં માછીમારી કરતાં માછીમારોની માછલીઓ જો કેમિકલ યુક્ત પાણી આરોગે તો એ માછલી માનવ જીવ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે જેના કારણે ચોમાસાની સિઝનમાં માછલીનો સ્વાદ માણતા લોકો માટે પણ જોખમકારક સાબિત થઈ શકે તેમ છે.
અહેવાલ : દિનેશ મકવાણા
આ પણ વાંચો : GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડના તપાસમાં તેજી, તમામ શ્રમિકોના જોબકાર્ડની કરાશે તપાસ