BOTAD : વ્યાજના વિષચક્રમાં હીરા દલાલે કરી આત્મહત્યા
અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદના હીરા દલાલે વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતા હીરા દલાલે અનાજમાં નાંખવાનો ઝેરી પાવડર પી લઇ આત્મહત્યા કરતાં હાહાકાર મચી ગયો છે. હીરા દલાલે લખેલી સ્યુસાઇડ નોટમાં 9 શખ્સોના નામ લખેલા હોવાથી પોલીસે 9 સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
હીરા દલાલે કરી આત્મહત્યા
બનાવ અંગે મૃતકના પત્નીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બોટાદ શહેરના હીરાની દલાલીનું કામ કરતા મનુ ભાઈ ઉર્ફે મુન્નાભાઈ ઉર્ફે મુકેશભાઈ અરજણ ભાઈ ઓળકીયાને માથે દેવું થઈ જતા વ્યાજે પૈસા લીધા હતા. જેથી અવારનવાર ઉઘરાણી વાળાના વ્યાજના પૈસા બાબતે ફોન આવતા હતા. ગત-૧૮ ઓક્ટોબરના બપોરના બે વાગ્યે મૃતકના પત્ની પ્રફુલાબેન હીરાના કારખાને હીરા ઘસવા માટે ગયેલ તે દરમિયાન તેનો મોટો દીકરો ધવલ કારખાને આવેલ અને કહ્યું કે ઘરે આવો પપ્પા ઉલ્ટી કરે છે જેથી તેઓ તુરત જ ઘરે ગયા હતા અને તેના પતિ મનુ ભાઈ ન પૂછતા તેમણે અનાજમાં નાખવાનો પાવડર પી ગયો છું તેમ જણાવ્યું હતું.
પૈસાની ઉઘરાણી
તેમના પત્નીએ પુછ્યું કે આવું શું કામ કર્યું તો તેમના પતિએ જણાવેલ કે પૈસાના વ્યાજની ઉઘરાણી વાળા મને સખ લેવા દેતા નથી અને પૈસા અને વ્યાજ બાબતે ખૂબ જ દબાણ કરતા હોવાથી મેં કંટાળીને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પીધો છે. જેથી મનુભાઈ ને તાત્કાલિક ૧૦૮ મારફતે બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મનુભાઈના પત્નીએ વ્યાજની ઉઘરાણી વાળા બાબતે પૂછપરછ કરતા મનુભાઈએ તેના પાકીટમાંથી એક ચિઠ્ઠી કાઢી હતી.
ચિઠ્ઠીમાં 9 શખ્સના નામ
આ ચિઠ્ઠીમાં આરોપી દિનેશભાઈ રહે,ટાટમ જેની પાસેથી 24% ના 32000 લીધેલા જેના છ લાખ આપેલ , સુરસંગભાઇ રહે, સમઢીયાળા જેની પાસેથી પાંચ ટકાના રૂપિયા લીધેલા કેટલા રૂપિયા લીધેલા તેની વિગત નથી , શાંતિભાઈ રહે,લાઠીદડ પાસેથી 70,000 લીધેલા જેનું દર માસે પાંચ હજાર વ્યાજ આપતા , દીપા ભાઇ ચતુરભાઈ મકવાણા રહે,રાયસંગગઢ જેની પાસેથી રૂપિયા લીધા હતા તેથી તે મને દસ દસ મીનીટે ફોન કરી ધમકી આપતા , નયનભાઈ ભાવેશભાઈએ બે લાખના હીરાનો માલ રાખેલ છે તેમ છતાં 59000 નું વ્યાજની ઉઘરાણી કરે છે , પ્રતાપભાઈ રહે, ખરડ, ભુપતભાઈ રહે,ઓતારીયા , મેહુલભાઈ તથા વિપુલભાઈ વ્યાજની ઉઘરાણી કરતા હોવાનું સ્યુસાઇડ નોટમાં લખેલું હતું.
પોલીસે શરુ કરી તપાસ
ત્યારબાદ પ્રફુલાબેનના પતિ બેભાન થઈ જતા ડોક્ટરે તપાસી સાંજના પોણા સાતેક વાગ્યે મૃત જાહેર કર્યા હતા. મૃતકે સ્યુસાઇડ નોટમાં લખેલ ઉપરોક્ત તમામ નવ શખ્સો વિરુદ્ધ આઈ પી સી કલમ -૩૦૬,૧૧૪, ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ -૩૩(૩),૪૨(ડી) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો---PORBANDAR : 20 તોલાના સોનાના દાગીના પહેરી મહેર જ્ઞાતિના હજારો ભાઇઓ-બહેનો મણિયારો રાસ રમ્યા