Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 152મું અંગદાન, ત્રણ દર્દીઓને મળશે જીવનદાન
Organ Donation: રાજ્યમાં અત્યારે અંગદાનનું મહત્વ ખુબ જ વધી રહ્યું છે. અમદાવાદના દરિયાપુરમાં રહેતા ખોડીદાસ મેણા સારવાર દરમિયાન બ્રેઈનડેડ થતા સ્વજનોએ અંગદાન (Organ Donation)નો નિર્ણય કર્યો. મળતી વિગતો પ્રમાણે એક લીવર તથા બે કીડનીનું દાન મળ્યું છે. મજુરી કરી રોજગારી રળતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી ફરીએક વાર સમાજને હ્રદયથી અમીરીનો પરિચય કરાવ્યો છે. અંગદાન થતા અન્ય લોકોને જીવનદાન મળ્યું છે. જેથી તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
એક લીવર તથા બે કીડનીનું દાન મળ્યું
મળતી વિગતો પ્રમાણે સિવિલ હોસ્પિટલ ખાતે આજે 152 મું અંગદાન થયું છે. અમદાવાદ દરિયાપુરના રહેવાસી 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઇ મેંણાને દરીયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ,અમદાવાદમાં તારીખ 05/05/2024 ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 08-05-2024ના રોજ તબીબોએ ખોડીદાસભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
બ્રેઇન ડેડ થતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો
ખોડીદાસભાઈના પરિવારમાં માતા-પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમજ પત્ની કે બાળકો પણ ન હોવાથી અને બીજા બે ભાઇ પરણીત હોઇ તેઓ તેમના નાનાભાઇ મહેન્દ્રભાઇ સાથે રહેતા હતા. બન્ને ભાઇ છુટક મજુરી કરી એક્બીજાના સહારે રોજેરોજનુ કમાઇ પોતાનુ ગુજરાન ચલાવતા હતા. અચાનક આવી પડેલ આવી દુઃખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહેન્દ્રભાઇને ખોડીદાસભાઈના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા બીજા ભાઇઓ સાથે વાત કરતા ત્રણે ભાઇઓએ સાથે મળી ખોડીદાસભાઈનાં અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 152 અંગદાન થયા
નોંધનીય છે કે, ખોડીદાસભાઈના અંગદાન થકી બે કીડની,એક લીવરનુ દાન મળ્યું જેને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરિયાત મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે, ખોડીદાસભાઈના અંગદાનથી કીડની તેમજ લીવર ફેઇલ્યોરથી પીડાતા અને મ્રુત્યુ ની રાહ જોતા ત્રણ દર્દીઓને આ અંગો મળતા તેમની અંગો મળવાની પ્રતિક્ષા પુરી થશે અને તેમને નવુ જીવન મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 152 અંગદાતાઓ થકી કુલ 490 અંગોનું દાન મળેલ છે. જેના થકી 474 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.