VADODARA : BJP વિશે વોટ્સએપમાં જુઠ્ઠાણું નહી ફેલાવવાનું કહેતા હુમલો
VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યના મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં વિચારતા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં હુમલાનો ભોગ બનનાર શખ્સે અન્યને વોટ્સએપ ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) (BJP) વિશે જુઠ્ઠાણું નહી ફેલાવવા બાબતે જણાવ્યું હતું. તે અંગેની રીસ રાખીને તેના પર અડધો ડઝન લોકોએ ભેગા મળીને હુમલો કરી દીધો હતો. આખરે આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બહેન સાથે શારીરિક ગેરવર્તણુંક
આ મામલે ભોગ બનનાર યુવકે મંજુસર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેણે સમીરભાઇ મનોજભાઇ રાઠોડને વોટ્સએપ ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ જુઠ્ઠાણું નહી ફેલાવવા અંગે જણાવ્યું હતું. તે બાબતની રીસ રાખીને સમીર મનોજભાઇ રાઠોડ, આશીક ઉર્ફે નકલી જહુભાઇ રાઠોડ, સહેજાદ ઉર્ફે બાલો મનોજભાઇ રાઠોડ, મનોજભાઇ કેસરીસિંહ રાઠોડ, ભારતસિંહ છત્રસિંહ રાઠોડ ઉર્ફે ભાગલનો લાલો અને સલીમ છત્રસિંહ રાઠોડ (તમામ રહે - ઉંડુ ફળિયુ, ટુંડાવ, સાવલી) દ્વારા ભેગા મળીને હાથમાં દંડા રાખીને યુવક પર તુટી પડ્યા હતા. અને લાકડી-દંડાથી માર મારવા લાગ્યા હતા. દરમિયાન આશીક ઉર્ફે નકલી જહુભાઇ રાઠોડે યુવકની બહેન સાથે શારીરિક ગેરવર્તણુંક કરી હતી. અને તેણીએ પહેરેલી સોનાની અઢી તોલાની ચેઇનની લૂંટ ચલાવી હતી. બાદમાં સમીરભાઇ મનોજભાઇ રાઠોડે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગુનો નોંધવામાં આવ્યો
આખરે ઉપરોક્ત મામલે મંજુસર પોલીસ મથકમાં સમીર મનોજભાઇ રાઠોડ, આશીક ઉર્ફે નકલી જહુભાઇ રાઠોડ, સહેજાદ ઉર્ફે બાલો મનોજભાઇ રાઠોડ, મનોજભાઇ કેસરીસિંહ રાઠોડ, ભારતસિંહ છત્રસિંહ રાઠોડ ઉર્ફે ભાગલનો લાલો અને સલીમ છત્રસિંહ રાઠોડ (તમામ રહે - ઉંડુ ફળિયુ, ટુંડાવ, સાવલી) સામે રાયોટીંગ, છેડતી અને ધાડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : મોબાઇલનું વળગણ જીવ કરતા પણ વધારે વ્હાલુ