ગોધરામાં દાંડિયા બનાવીને 1 હજાર જેટલા મુસ્લિમ યુવાનો રોજગારી મેળવે છે, છ મહિના અગાઉથી જ શરૂ કરી દે છે દાંડિયા બનાવવાનું કામ
અહેવાલઃ નામદેવ પાટિલ, પંચમહાલ
ખેલૈયાઓ રાસ રમતી વેળાએ જે દાંડિયાનો ઉપયોગ કરે છે એવા રંગબેરંગી દાંડિયા ગુજરતભરમાં ગોધરાના મુસ્લિમ પરિવારો દ્વારા બનાવવામાં આવે છે . નવરાત્રિ આવતાની સાથેજ નવરાત્રિ રસિકોબજારમાં ચણિયાચોળી, દાંડિયા, શેરવાની વગેરેની ખરીદી શરૂ કરી દેતા હોય છે. સાથે સાથે નવરાત્રિમાં ગરબા તેમજ રાસ રમવા માટે બજારમાં દાંડિયાની ખુબજ માંગ હોય છે.
ગોધરા સમગ્ર દેશમાં દાંડિયાના ઉત્પાદનમાં મોખરે
પંચમહાલ જિલ્લાનું ગોધરા સમગ્ર દેશમાં દાંડિયાના ઉત્પાદનમાં મોખરે છે. ગૃહ ઉદ્યોગ તરીકે મુસ્લિમ પરિવારોમાં વિકસેલો આ દાંડિયા બનાવવાનો વ્યવસાય એક કોમી એખલાસતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે . વર્ષોની પરંપરાથી ભૂતકાળમાં ગોધરાની ખરડાયેલી છબીને પણ ધ્યાને લીધા વિના દાંડિયાનો ગૃહઉદ્યોગ કરતા પરિવારોએ રસિયાઓની રમજટના સહભાગી બનવા માટે દાંડિયા ઉત્પાદનને ક્યારેય અટકાવ્યું નથી એ પણ એક ગૌરવ સમી બાબત કહી શકાય.
ગોધરા શહેરમાં 500 જેટલા અને આજુબાજુના પંથકમાં 45 જેટલા દાંડિયા બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે
પંચમહાલ જીલ્લાનું મુખ્ય મથક ગોધરા સાબરમતી એક્ષપ્રેસ કાંડ બાદ સમગ્ર દેશ વિદેશમાં તેની કટ્ટરતા માટે વધુ કુખ્યાત ભલે બન્યું,પરંતુ આ નગરમાં વસતા સેકડો મુસ્લિમ પરિવારોનો ગુજારો, નવરાત્રી માટે પવિત્ર દાંડિયા બનાવવામાંથી થતી આવક પર થઇ રહ્યો છે. ગોધરાના પોલન બજારમાં દાંડિયા બનાવવાના સર્વાધિક કારખાના આવેલા છે.
ગોધરા નગરમાં મુસ્લિમો ની નોધપાત્ર વસ્તી છે . નાતજાતના ભેદભાવથી વિપરીત આ ગોધરા શહેરમાં 500 જેટલા અને આજુબાજુના પંથકમાં 45 જેટલા દાંડિયા બનાવવાના કારખાના ધમધમી રહ્યા છે. ગોધરા માંથી દાંડિયા બની ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં અને દેશના ખૂણે ખૂણે અને વિદેશમાં પણ વેચાય છે. ગોધરામાં આવેલા આશરે 300 જેટલા સંગડા અને દરેક સંગાડામાં કામ કરતા 8 થી 10 કારીગરો એમ મળી કુલ 1000 થી વધુ કારીગરો છે. જે નવરાત્રીના 6 મહિના અગાઉ થી જ દાંડિયા બનાવવાનું કામ શરૂ કરી દેતા હોય છે. અને નવરાત્રી આવતા દરેક કારખાના લાખોની સંખ્યામાં દાંડિયા બનાવી જુદા જુદા શહેરોમાં વેંચતા હોય છે.
દાંડિયાના કારખાનામાં 1000 થી વધુ મુસ્લિમ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે
ગોધરામાં આવેલા મોટા ભાગના દાંડિયાના કારખાના મુસ્લિમ ભાઈઓના છે. દાંડિયાના કારખાનામાં 1000 થી વધુ મુસ્લિમ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે . આ યુવાનો નવરાત્રીના 6 મહિના પૂર્વેથી જ દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે અને રોજ ના 300 ની કમાણી કરે છે.
ગોધરામાં બનેલા દાંડિયાની ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં પણ અહીં થી જ દાંડિયા ની નિકાસ કરવા માં આવે છે .વિદેશમાં અમેરિકા , ઇંગ્લેન્ડ , કેનેડા જેવા દેશોમાં અહીંના મુસ્લિમોએ બનાવેલા દાંડિયા વેપારીઓ દ્વારા ખરીદી નિકાસ કરવામાં આવે છે. નવરાત્રીની સિઝનમાં એક કારખાના દીઠ 3 લાખ ઉપરાંતની આવક થાય છે , આ કારખાના વાળાઓ પાસેથી ગુજરાત અને ગુજરાત બહારના વેપારીઓ દાંડિયા જથ્થાબંધ લઈ જાય છે. સાથે સાથે સ્થાનિકોને રોજગારી ઉપલબ્ધ થાય છે.
બીજી તરફ હાલ ટ્રેડિશનલ ગરબા અને ડિસ્કો ગરબા રમવાના કારણે જે પારંપારિક ગરબા ક્યાંક ને ક્યાંક લુપ્ત થવાના આરે હોવાનું જણાવી હાલ રાજવાડી દાંડિયા ખરીદી માં ભારે મંદી આવી હોવાનું કારાગીરો અને કારખાના ના માલિકો જણાવી રહ્યા છે.