VADODARA : જર્જરિત મકાનની દિવાલનો કેટલોક ભાગ ભોંય ભેગો
VADODARA : હાલ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને વિવિધ જગ્યાઓએ ચેકીંગની કામગીરી હાથ ધરતી વડોદરા પાલિકા (VADODARA - VMC) ની ટીમ દ્વારા જર્જરિત મકાનો તરફ પણ જોવું જોઇએ. ગતરાત્રો તીનમુર્તિ સોસાયટીમાં આવેલા જર્જરિત મકાન પૈકી દિવાલનો કેટલોક ભાગ ભોંય ભેગો થયો હતો. આ ઘટના સમયે નીચે કોઇ હાજર ન હોવાના કારણે ઇજાઓ થઇ ન્હતી. કાટમાળને જોઇને તંત્રએ આ વાત ગંભીરતાપૂર્વક લઇ વધુ કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.
લોકો ભયના ઓથાર હેઠળ
વડોદરાના નવાપુરા વિસ્તારમાં તીનમુર્તિ સોસાયટી આવેલી છે. જે પૈકી કેટલાક મકાનો જર્જરીત હાલતમાં હોવાનું માલુમ પડી રહ્યું છે. પાલિકાની નિર્ભયતા શાખા દ્વારા આ મકાનો અંગે નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સોસાયટીના એક મકાનની દિવાલનો કેટલોક ભાગ ભોંયભેગો થયો છે. જેને લઇને અહિંયા રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જેને લઇને લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી રહી છે. મકાનના સ્ટેબીલીટી રીપોર્ટમાં પણ તેની હાલત જર્જરીત હોવાનું સામે આવ્યું હતું. અહિંયા ત્રણ અલગ અલગ કોમ્પલેક્ષ આ પ્રકારની હાલતમાં નજરે પડી રહ્યા છે.
મકાન બહાર નોટીસ
આ મકાનોને નોટીસ આપવામાં આવ્યા બાદ પણ મકાનો કેમ ઉતારી લેવામાં નથી આવ્યા તે અંગે તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો દ્વારા નોટીસ મળ્યા બાદ ઘર ખાલી કરી નાંખવામાં આવ્યા છે. પરંતુ હજી કેટલાક પરિવારો અહિંયા રહેતા હોવાના કારણે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી રહી. આજે પણ મકાનો બહાર પાલિકા દ્વારા મારવમાં આવેલી નોટીસો જોવા મળે છે.
કન્સ્ટ્રક્શનને લઇને સંમત નથી
સ્થાનિક જણાવે છે, આરવી દેસાઇ રોડ, એસઆરપી પાસે તીનમુર્તિ સોસાયટી આવેલી છે. અહિંયા આ પરિસ્થિતી લાંબા સમયથી છે. છેલ્લા દોઢ વર્ષથી મીટીંગ થઇ રહી છે. અમુક સભ્યો 24 પૈકી 6 નવા કન્સ્ટ્રક્શનને લઇને સંમત નથી. અમારે ભયના ઓથાર હેઠળ રહેવાનું છે. કાલે અમે બચી ગયા. જો અમે જતા આવતા હોત, અને પડ્યું હોત તો મરી ગયા હોત. એટલું હેવી પડ્યું છે. પાલિકા દ્વારા કાયદેસરની દિશામાં કાર્યવાહી કરવી જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : નવરચના યુનિ. સહિત અનેક સ્થળે ફાયર વિભાગની કાર્યવાહી