VADODARA : VMC ના ચેરમેન અને ડે. મેયરની ત્વરિતતા ચર્ચાનો વિષય બની
VADODARA : વડોદરામાં મહાનગર પાલિકા (VMC) ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (STANDING COMMITTEE CHAIRMAN - VADODARA) ડો. શિતલ મિસ્ત્રી અને ડેપ્યુટી મેયર (DEPUTY MAYOR - VADODARA) ચિરાગ બારોટની એક જ દિવસમાં અલગ અલગ સ્થળોએ જોવા મળેલી ત્વરિતતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તાજેતરમાં ડો. શિતલ મિસ્ત્રી દ્વારા ડે. મેયરના વોર્ડમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખ્યા વગર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ ગણતરીના કલાકોમાં ડે. મેયર ચિરાગ બારોટ દ્વારા ચેરમેનના વિસ્તારમાં જઇને પાણીનો પ્રશ્ન ઉકેલના માટે સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખીને અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા. અંતરિક ડખા માત્ર કોર્પોરેટર અને કાર્યકર્તાઓ વચ્ચે જ નહી પરંતુ પાલિકાના હોદ્દેદારો વચ્ચે પણ હોવાનું આ કિસ્સા પરથી ફલિત થવા પામ્યું છે.
ડે. મેયરના વોર્ડમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના આંતરિક ડખા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. સંગઠનના
મહિલા અગ્રણી દ્વારા સિનિયર ધારાસભ્યો સામે આરોપ, કાર્યકર્તાઓ અને કોર્પોરેટર વચ્ચે આરોપબાજી, કોર્પોરેટરને ટેલિફોનીક પુછપરછ કરી એકબીજાની વાતો જાણવાનો પ્રયત્ન કરવો, આ બધા કિસ્સાઓ આ વાતની આડકતરી રીતે પ્રતિતિ કરાવે છે. તેવામાં આ ડખા માત્ર ધારાસભ્ય, સંગઠન અને કોર્પોરેટર પુરતા જ સિમિત નહિ હોવાનું ધ્યાને આવ્યું છે. તાજેતરમાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા ડે. મેયરના વોર્ડમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને હલકી ગુણવત્તાવાળું કામ કરનાર પેવર બ્લોકના કોન્ટ્રાક્ટરને ચીમકી આપવામાં આવી હતી. આ સમયે ચેરમેન દ્વારા કોઇ પણ સ્થાનિક આગેવાનોને સાથે રાખ્યા વગર આ કાર્ય કરવામાં આવ્યું હતું.
હુંસાતુંસી ખુલ્લી પાડી હોવાની લોકચર્ચા
આ ઘટનાના ગણતરીના જ કલાકોમાં વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડમાં જઇને સ્થાનિકોના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમણે સ્થળ પર પહોંચીને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા. આ ઘટનાને લઇને શહેરના રાજકારણમાં પાલિકાના નિમાયેલા હોદ્દેદારો વચ્ચેની હુંસાતુંસી ખુલ્લી પાડી હોવાની લોકચર્ચા છે. આમ, જે આંતરિક ખેંચતાણ સિનિયર ધારાસભ્ય, કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે સામે આવી હતી. તે હવે પાલિકાના હોદ્દેદારો સુધી પહોંચી હોવાનું સપાટી પર આવ્યું છે.
આ પણ વાંચો -- Narmada : નર્મદા નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજું પણ શોધખોળ