VADODARA : "લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો", હરિભક્તોને મોરચો કલેક્ટર કચેરી પહોંચ્યો
VADODARA : વડતાલ સ્વામીનારાયણ મંદિર (VADTAL SWAMINARAYAN MANDIR) સાથે સંકળાયેલા અનેક સ્વામીઓની પાપલીલાનો ભાંડો ફૂટ્યો છે. જેને લઇને સંપ્રદાયના કર્તાહર્તાઓ સામે સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ હરિભક્તો આ ઘટનાથી વ્યથીત છે. તેવામાં આજે શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેતા હેઠળ જિલ્લા કલેક્ટરને (VADODARA COLLECTOR) આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને લંપટ સાધુઓની હકાલપટ્ટી કરવા સહિતના મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.
ચોરના ભાઇ ઘંટી ચોર
આજે વડોદરામાં શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેતા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. મોરચો લઇને પહોંચેલા હરિભક્તોના હાથમાં વિવિધ બેનર હતા. જેમાં "લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો", કોઠારી હરીજીવન અને ભાનુપ્રસાદ સાથે ડામીસ ભગવત પ્રસાદ ચોરના ભાઇ ઘંટી ચોર, જેવા સુત્રો લખ્યા હતા. આમ, વડતાલ સ્વામીનારાયણ મંદિર સાથે સંકળાયેલા સ્વામીઓની પાપલીલા બાદથી હરિભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. જે હવે ખુલીને સામે આવી રહી છે.
નરાધમોને બહાર કાઢવા છે
હરિભક્ત સંદિપ પટેલ જણાવે છે કે, કલેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા સ્વામીનારાયણ સંપ્રદાયમાં જે લંપટ સાધુઓ છે, તે ગુંડા કહેવાય, જે લોકોએ નરાધમ કૃત્યો કર્યા છે, જેણે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યો કર્યા છે. અને તે લોકો ટ્રસ્ટી બનીને બેઠા છે. ટ્રસ્ટી બનીને સાધુઓ એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે. એ નરાધમોને અમારે બહાર કાઢવા છે. ગુરૂકુળમાં ભણતા અમારા છોકરાઓ અમને આવીને પુછે છે, પપ્પા અમારે આવતી કાલે સ્કુલમાં તિલક-ચાંદલો કરીને જવું કે નહી. મારા ફ્રેન્ડ્સ મને આવું કહે છે. તો અમારી ભાવિ પેઢીની રક્ષા માટે આવ્યા છે.
ધમકી ભર્યા ફોન આવે
વધુમાં તેમણે જણાવ્યું કે, જે ચેરમેન બનીને બેઠા છે, તે કોઇ એક્શન લેતા નથી. એકબીજા નીચે પુછડી દબાઇ ગઇ છે. એટલે તેઓ કંઇ બોલતા નથી. અમે એક થઇએ તો ધમકી ભર્યા ફોન આવે છે, કહે છે, અમારો કોઇ વાળ વાંકો નહી કરી શકે. એટલે આ નરાધમોને બહાર કાઢવા માટે અમે રજુઆત કરવા માટે આવ્યા છીએ. ધર્મના રક્ષણ માટે અમે આ પહેલ કરી છે.
ધરપકડ કરો અને સંપ્રદાયમાંથી કાઢો
આવેદન પત્ર આપનાર મહિલા જણાવે છે કે, અમે એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે વડતાલના સંતો બધી સંસ્થાઓમાં જુદા જુદા છે, વડોદરા, માણવદર, રાજકોટમાં છે. બધે જ આવા બનાવો બન્યા છે. એટલે આ સંતોને અમારે કાઢવાના છે. અત્યારે સામન્ય માણસે સંતો સિવાય આવું કંઇ કર્યું હોય તો તેની સામે તાત્કાલીક કાયદેસરના પગલાં લેવામાં આવે, તેને સજા આપવામાં આવે. તો સાધુએ આટલું કર્યું તેની સામે કેમ ધરપકડ નથી થતી. તેની પહેલા ધરપકડ કરો અને સંપ્રદાયમાંથી કાઢો. બીજા કોઇ કરે તો તરત પગલાં લેવાના અને તેમણે કર્યું હોય તો નહી લેવાના. આ સાબિત કરે છે કે, સરકાર તેમની જોડે છે. જેટલા બધા લંપટ છે તેમને બહાર કાઢો. કચરો બહાર કાઢો.
આ પણ વાંચો -- VADODARA : જાણીતા શ્રી જગદીશની ભાખરવડી અખાદ્ય મળી આવી