VADODARA : માછલી પકડવાની જાળમાં આઘેડ ફસાતા મોત
VADODARA : વડોદરા પાસે સાવલી (VADODARA - SAVLI) માં માછલી પકડવા માટેની જાળ (FISHING NET) માં આધેડ ફસાતા મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ અંગે સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે. જે બાદ સાવલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીની નદીમાં માછીમારી કરવા પહોંચ્યા
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પાસે સાવલીના જુના સમલાયા, આંટાવાળું ફળિયામાં મનુભાઇ વિઠ્ઠલભાઇ પાવા (ઉં . 45) પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ બપોરના સમયે 2 વાગ્યાના અરસામાં તેઓ જુના સમલાયા ગામના સ્મશાન પાસે આવેલી મીની નદીમાં માછીમારી કરવા માટે પહોંચ્યા હતા. તેમની પાસે માછલીએને પકડવા માટેની મોટી જાળ હતી.
પાણીમાં ડુબી જવાથી મૃત્યુ
ત્યાં પહોંચ્યા બાદ તેઓ માછલીઓને પકડવા માટેની જાળ પાણીમાં પાથરી રહ્યા હતા. દરમિયાન એકાએક તેઓ પોતે જ માછલીની જાળમાં ફસાઇ ગયા હતા. આમાંથી બચવાના અનેક પ્રયાસો છતાં તેઓ બહાર નિકળી શક્યા ન્હતા. અને પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જે બાદ તેમનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ તેમને બચાવવામાં સફળતા મળી ન્હતી.
વધુ તપાસનો ધમધમાટ શરૂ
સમગ્ર ઘટનાને લઇને પરિવારને જાણ થતા સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્વજન ગુમાવવાને કારણે શોકાતુર થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સાવલી પોલીસ મથકમાં મૃતકના પુત્રી ભાવનાબેન મનુભાઇ પાવાએ જાણ કરી હતી. જે બાદ આ મામલાની અકસ્માતે નોંધ કરવામાં આવી હતી. અને આ ઘટનાની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મહોબ્બતસિંહને સોંપવામાં આવી છે. જે બાદ વધુ તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના વધુ એક મહિલા કોર્પોરેટરનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો