VADODARA : "જીવતો રહેવા દેવો જ નથી", પત્નીના પ્રેમીનો હુમલો
VADODARA - PADRA : વડોદરાના પાદરા (VADODARA - PADRA) માં પત્નીના પ્રેમીએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દંપતિ વચ્ચે તકરાર થયા બાદ પત્ની પ્રેમી સાથે નાસી ગઇ હતી. જે બાદ પોલીસ બંનેને શોધી લાવી હતી. આ ઘટના બાદ પત્નીના પ્રેમીએ પતિ પર હિંસક હુમલો કરી દીધો હતો. આખરે સમગ્ર મામલો સ્થાનિક પોલીસ સ્ટેશ પહોંચ્યો છે. અને ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પત્ની પિયરમાં રહેવા જતી રહી
પાદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કમલેશ (નામ બદલ્યું છે) શ્રમિક છે. તેમના લગ્નજીવન દરમિયાન બે સંતાનો છે. પત્ની સાથે છ મહિના પહેલા તકરાર થતા તે પિયરમાં એક સંતાન સાથે રહે છે. અન્ય એક સંતાન તેની સાથે રહે છે.
છતાં તેને હું જ રાખવાનો છું
તેની પત્નીને ફળિયામાં રહેતા રમેશ માળી સાથે પ્રેમ સંબંધ હતો. છ મહિના પહેલા તેની પત્ની રમેશ માળી સાથે ક્યાંક ભાગી ગઇ હતી. તે વખતે તેણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે બાદ પોલીસે તેની પત્નીને શોધી કાઢી હતી. જે બાદ તેની પત્ની ઘરે આવવાની જગ્યાએ પિયર જતી રહી હતી. તાજેતરમાં તે કડિયાકામ કરવા માટે ઘરેથી નિકળી રહ્યો હતો. તેવામાં પત્નીના પ્રેમી રમેશે ગાળો બોલીને કહ્યું કે, હું તારી પત્નીને લઇને જતો રહ્યો હતો, અને તે પાછી આવી છે. છતાં તેને હું જ રાખવાનો છું. તેમ કહી ઝઘડો કર્યો હતો.
તુ કેમ મારી સાથે ઝઘડો કરે છે
જે બાદ કમલેશે કહ્યું કે, એક તો મારી પત્નીને લઇને જતો રહ્યો હતો. અને મને મારી પત્ની અને બાળકોથી અલગ કર્યા છે. તુ મારી સાથે ઝઘડો ના કરીશ. તેમ કહીને તે કામે જતો રહ્યો હતો. તે વખતે રમેશ માળી, નવીન માળી, સોમાભાઇ માળીને બોલાવીને હાથમાં લાકડી લઇને તેને ભાગોળમાં ઉભો રાખ્યો હતો. અને કહ્યું કે, તુ કેમ મારી સાથે ઝઘડો કરે છે. તેમ કરીને ઝપાઝપી કરી મારામારી કરી હતી, લાકડી વડે માર મારતા કમલેશ રસ્તા પર પડી ગયો હતો. જે બાદ પણ તમામે તેને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
લોકો એકત્ર થઇ જતા ત્રણેય નાસી છુટ્યા
ત્રણેયે કહ્યું કે, આ દરરોદ આપણી જોડે તકરાર કરે છે. આ વખતે તો તેને જીવતો રહેવા દેવો જ નથી. તેની ધમકી આપી હતી. દરમિયાન ગામના લોકો એકત્ર થઇ જતા ત્રણેય નાસી છુટ્યા હતા. ઇજાગ્રસ્ત કમલેશને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાથમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. આખરે ઉપરોક્ત મામલે રમેશભાઇ માળી, નવીનભાઇ માળી, સોમાભાઇ માળી (ત્રણેય રહે - વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સુરસાગરની અસંખ્ય મૃત માછલીઓનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરાયો