VADODARA : MSU માં બી.કોમના સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે
VADODARA : વડોદરાના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના બી.કોમ (B.COM) કોર્ષ ના પ્રથમ વર્ષના સેંકડો વિદ્યાર્થીઓ ઇન્ટર્નલ પરીક્ષા નહી આપી શકે તેવી સ્થિતી સર્જાઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન મેળવ્યા બાદ જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન સ્ટુડન્ટ પ્રોફાઇલ (ONLINE STUDENT PROFILE) માં જઇને પોતાના વૈકલ્પિક વિષયો પસંદ નહી કર્યા હોય તેમને આ મુશ્કેલી પડી શકે છે. જો કે, આ વખતે આ સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી યુનિ. સત્તાધીશો કોઇ વચગાળાનો નિર્ણય જાહેર કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
પ્રોફાઇલમાં જઇને વૈકલ્પિક વિષયોની પસંદગી
વડોદરાના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સૌથી વધુ વિ્દ્યાર્થીઓ બી.કોમના કોર્ષમાં હોય છે. આ વખતે આ સંખ્યા 6 હજાર જેટલી થવા પામે છે. વિદ્યાર્થીઓ દ્વારા એડમિશન મેળવ્યા બાદ ઓનલાઇન સ્ટુડન્ટ પ્રોફાઇલમાં જઇને વૈકલ્પિક વિષયોની પસંદગી કરવાની હોય છે. આ કરવા અંગે યુનિ. સત્તાધીશો દ્વારા વારંવાર સુચનાઓ આપવામાં આવી હતી. અને જો તેમ નહી કરવામાં આવે તો તેના ભયસ્થાનો પણ જણાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની આળસ જ જવાબદાર
છતાં અસંખ્ય વિદ્યાર્થીઓ દ્વારા આ વાતને અવગણીને ઓનલાઇન વૈકલ્પિક વિષયોની પસંદગી કરવામાં આવી નથી. જેને કારણે 14 મેથી શરૂ થનાર ઇન્ટર્નલ પરીક્ષાઓ આ વિદ્યાર્થીઓ નહિ આપી શકે. ઓનલાઇન પ્રક્રિયા સરળ હોવાથી આમ નહિ કરવા પાછળ વિદ્યાર્થીઓની આળસ જ જવાબદાર હોવાનું યુનિ. સત્તાધીશોનું માનવું છે. પહેલા સેમેસ્ટરમાં વૈકલ્પિક વિષયોની પસંદગી નહિ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 100 જેટલી હતી. જે બીજા સેમેસ્ટરમાં વધીને 700 જેટલી થઇ હોવાનો અંદાજ છે. 7 ઘણો વધારો નોંધાતા સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા.
વધુ એક વખત ઇન્ટર્નલ એક્ઝામની શક્યતા
આ સ્થિતીમાં યુનિ સત્તાધીશો દ્વારા કોઇ વચગાળાનો રસ્તો કાઢવામાં આવે તેવી શક્યતા હાલ તબક્કે જોવા મળી રહી છે. તો બીજી તરફ યુનિ. દ્વારા વધુ એક વખત ઇન્ટર્નલ એક્ઝામ લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. હવે આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ધો. 12 માં નાપાસ થયા બાદથી લાપતા યુવકની ભાળ મળી