VADODARA : એક જ રાતમાં રૂ.4.91 લાખના મુદ્દામાલનો સફાયો
VADODARA : વડોદરાના મંજુસર પોલીસ મથક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક જ રાતમાં તસ્કરોએ બે મકાનોમાં હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ મળીને રૂ. 4.91 લાખના મુદ્દામાલનો સફાયો થયો છે. આખરે સમગ્ર મામલે પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દરવાજાનું લોક તુટેલું છે
મંજુસર પોલીસ મથકમાં વિમલકુમાર જગદીશભાઇ ડોબરીયા (રહે. મારૂતી વીલા સોસાયટી, દુમાડ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે. 26, મે ના રોજ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા તેમના સાઢુ ને ત્યાં મહેમાનગતિ કરવા માટે ગયા હતા. તેવામાં ગતરોજ સવારે 9 વાગ્યાના આસરાસમાં તેમના પાડોશીનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તમારા ઘરના પાછળના દરવાજાનું લોક તુટેલું છે. અને તમારા ઘરમાં ચોરી થઇ છે.
સામાન વેરવીખેર પડ્યો
વાતની જાણ થતા તેઓ તાત્કાલિક ઘરે દોડ્યા હતા. ત્યાં જઇને જોતા મકાનના પાછળના ભાગે આવેલા દરવાજાનો લોક કોઇ સાધન વડે તોડવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. તોડેલો દરવાજો ખુલ્લો મળી આવ્યો હતો. ઘરમાં જતા બેડરૂમમાં સામાન વેરવીખેર પડ્યો હતો. ડબલ બેડ નીચે બનાવેલા ખાના ખુલ્લા હતા. તેમાં પર્સમાં મુુકેલા સોના-ચાંદી તથા રોકડ મળીને રૂ. 2.79 લાખનો મુદ્દામાલ ગાયબ હતો.
મુદ્દામાલનો સફાયો
તેમજ સોસાયટીના અન્ય રહીશ જોગીંદરસિંહ કરમસિંહના મકાનના પાછળના ભાગનો દરવાજો તોડીને સોનુ-ચાંદી તથા રોકડ મળીને રૂ. 2.12 લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણ્યું હતું. આમ, તસ્કરો દ્વારા સોસાયટીમાંથી કુલ મળીને રૂ. 4.91 લાખના સોના-ચાંદી તથા રોકડ મુદ્દામાલનો સફાયો કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના રાત્રીના 12 વાગ્યાથી લઇને 2 વાગ્યા સુધીમાં ઘટી હોવાનો અંદાજ છે. જેને લઇને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : “ખેતરમાં ગાયો કેમ ચારી ?”, કહી મહિલા પર હુમલો