VADODARA : જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાનો સિલસિલો જારી
VADODARA : વડોદરા જિલ્લામાં લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીના બહિષ્કારના (BOYCOTT ELECTION) બેનરો લાગવાનો સિલસિલો જારી છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદની પ્રક્રિયામાં વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના ખેડૂતોને અન્યાય થતા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ આ પ્રકારે વિરોધ કરવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે. એક તરફ ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ ચૂંટણી બહિષ્કારના બેનરો લાગી રહ્યા છે.
યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં નહિ આવ્યું હોવાનું બુમો
વડોદરા જિલ્લાના અનેક ગામોમાંથી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર અને દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેની સામે યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં નહિ આવ્યું હોવાનું બુમો ઉઠવા પામી છે. જેને લઇને લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ મોરચો કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યો હતો. રજૂઆતના થોડાક જ દિવસોમાં ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી દેખાવો
ત્યારે હવે વડોદરા જિલ્લામાં એક પછી એક અનેક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાના શરૂ થઇ ગયા છે. તાજેતરમાં વરણામા ગામે ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી દેખાવો કર્યા છે. જે બાદ આ પ્રકારે વિરોધ શેરખી, ગોરીયાદ ગામે પણ જોવા મળ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બેનરમાં શું લખવામાં આવ્યું છે
બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ચૂંટણી બહિષ્કાર, વડોદરા જિલ્લાના દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે અને કોરીડોર રેલવે કોરીડોર સંપાદિત જનીનના ખેડૂતોને અન્યાય થયેલ છે. તેના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર. કોઇ પણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહિ.
સુરત, વલસાડના ખેડૂતોની સરખામણીએ ઓછું વળતર
સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુનાવનાર ખેડૂતો ઓછા વળતર બાબતે આર્બીટ્રેશનમાં વધુ વળતર મેળવવા માટે કેસો દાખલ કર્યા હતા. પરંતુ તેમાં કોઇ નક્કર ઉકેલા આવ્યો નથી. સુરત, વલસાડ અને નવસારીના ખેડૂતોને જે વળતર મળ્યું છે, તેની સરખામણીએ વડોદરા જિલ્લાના ખેડૂતોને ખુબ ઓછું વળતર મળ્યું છે. જેને લઇને હવે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ આગામી સમયમાં શાંત થાય તેવા કોઇ એંધાણ હાલ તબક્કે જોવા મળી રહ્યા નથી.
આ પણ વાંચો --VADODARA : બુધ-ગુરૂવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાશે