VADODARA : "નેતાઓએ પ્રવેશ કરવો નહિ", શહેર બાદ જિલ્લામાં પહોંચ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર
VADODARA : વડોદરા (VADODARA) શહેરના વડસર વિસ્તારમાં રોડ-રસ્તા અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની માંગ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા લોકોએ ચૂંટણી બહિષ્કાર (BOYCOTT ELECTION) નું શસ્ત્ર ઉગામ્યું હતું. જે બાદ હવે આ પ્રકારનો વિરોધ જિલ્લામાં પહોંચ્યો છે. કરજણ તાલુકામાં (KARJAN) આવેલા ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનર મારવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઇ પણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહિ. આ ગામોના લોકોને એક્સપ્રેસ વે (DELHI MUMBAI EXPRESSWAY) અને રેલવે કોરીડોર (RAILWAY FREIGHT CORRIDOR) માં થયેલી જમીન સંપાદનમાં અન્યાય થયો હોવાનો આરોપ અગાઉ તેમણે મુક્યો હતો.
એકતા ગ્રામીણ મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન
વડોદરા જિલ્લામાંથી મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર પસાર થઇ રહ્યા છે. જે અંગેની જમીન સંપાદનનું કાર્ય લગભગ પૂર્ણ થવાના આરે છે. ત્યારે કેટલાક ગામોના લોકોને જમીન સંપાદન સામે મળવાપાત્ર વળતરમાં અન્યાય થયો હોવાનો સુર ઉઠવા પામ્યો છે. જેના અનુસંધાને થોડાક સમય પહેલા જ એકતા ગ્રામીણ મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને મોરચો કોર્ટ બહારથી નિકળી કલેક્ટર કચેરી પહોંચ્યો હતો.
બેનર લાગવવાના શરૂ થયા
જો કે, તે બાદ સરકાર દ્વારા ખેડૂતોની માંગ સામે કોઇ સંતોષકારક નિર્ણય નહિ લેવાતા હવે આ ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગવવાના શરૂ થયા છે. પહેલા શહેરમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા. હવે જિલ્લામાં આ પ્રકારે બેનર થકી સ્થાનિકો ચૂંટણી બહિષ્કારનું જણાવી રહ્યા છે.
વળતરમાં અસમાનતાને લઇને વિરોધ
સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ કરજણ પાસેના બે ગામોમાં આ પ્રકારે બેનર જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં કરજણના બોડકા, હાંડોદ, કંબોલા, માંગરોલ, કુરઇ, સૂરવાડા, પીંગલવાડા, સંભોઇ અને ખાંધા ગામે પણ આ પ્રકારે બેનર લગાડી ચૂંટણીનો વિરોધ થઇ શકે છે. આ તમામ ગામોના ખેડૂતો વળતરમાં અસમાનતાને લઇને પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે.
અનેક ગામોની જમીન સંપાદિત
રેલવે ફ્રેઇટ કોરિડોર અને મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ-વે માં કરજણ તુલાકાના 8 ગામો, પાદરા તાલુકાના 10 ગામો, વડોદરા તાલુકાના 17 ગામો અને સાવલી તાલુકાના 17 ગામની જમીન સંપાદિત કરવામાં આવી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, જે રીતે તંત્ર દ્વારા સંપાદિત જમીન સામે સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને વળતર ચુકવ્યું છે. તે જ રીતે વડોદરાના ખેડૂતોને પણ વળતર મળવું જોઇએ. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું
શું લખ્યું છે બેનરમાં
બેનરમાં લખવામાં આવ્યું છે કે, ચૂંટણી બહિષ્કાર, વડોદરા જિલ્લાના મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર સંપાદિત જમીનના ખેડૂતોને અન્યાય થયેલો છે. તેના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર, કોઇ પણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહિ.
આ પણ વાંચો -- Vadodara : રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારા હેરી ઓડે આપ્યું ચોંકાવનારું નિવેદન