VADODARA : "છુપા રોષ ભાજપની સંસ્કૃતિનો ભાગ ન હોઇ શકે" - ડો. હેમાંગ જોષી
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) ના સાંસદપદના (LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ આજથી પ્રચાર ફેરણીની શરૂઆત કરી છે. દરમિયાન તેમણે કહ્યું કે, છુપા રોષ ભાજપની સંસ્કૃતિનો ભાગ ન હોઇ શકે. આમ, છેલ્લા કેટલાય સમયથી છુપા રોષનો સામનો કરી રહેલા ભાજપના સાંસદ પદના ઉમેદવારે એક ઝાટકે તમામ સવાલોને તાકતા જવાબ આપ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આજથી શરૂ થયેલો પ્રચારનો ધમધમાટ આવનારા દિવસોમાં જામશે તેમ જોવા મળી રહ્યું છે.
આરોપોથી ત્રસ્ત થઇ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવાઇ
વડોદરામાંથી લોકસભા - 2024 ની ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા પ્રથમ સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવી હતી. સતત ત્રીજી ટર્મ રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવતા પ્રચંડ આંતરિક વિરોધ સામે આવ્યો હતો. જે બાદ પોસ્ટર વોર પણ શરૂ થઇ હતી. આખરે રોજેરોજના આરોપોથી ત્રસ્ત થઇ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવામાં આવી હતી. જે બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવારની શોધ શરૂ કરવામાં આવી હતી. આખરે મોવડી મંડળે ડો. હેમાંગ જોષીની પસંદગી જાહેર કરી હતી. જો કે, અનેક કારણેસર ડો. હેમાંગ જોષીએ શરૂઆતમાં જ આંતરિત અસંતોષનો ભોગ બનવું પડ્યું હતું.
ડો. હેમાંગ જોષી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
ડો. હેમાંગ જોષીનું નામ જાહેર થયાના થોડા જ દિવસોમાં સાવલીના ધારાસભ્યના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં વિરોધમાં લખ્યાના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે બાદ કોઇને કોઇ બહાને વિરોધ આજદિન સુધી જારી રહ્યો છે. ત્યારે આ તમામ વચ્ચે આજે ડો. હેમાંગ જોષી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આજે તેઓ ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ સાથે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. અને લોકસંપર્ક સાધ્યો હતો.
કોઇ રોષ જોવા નહિ મળે
દરમિયાન તેમના વિરોધ અંગે તેમણે મીડિયાને જણાવ્યું કે, તમે આજુબાજુમાં જોશો તો કોઇ રોષ જોવા નહિ મળે. છુપા રોષ કોંગ્રેસે જેમ બેનર લગાડ્યા હતા તે પ્રકારના જ છે. છુપા રોષ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિનો ભાગ ન હોઇ શકે. આમ, ટુંકો સંદેશો આપીને ડો. હેમાંગ જોષીએ તમામ વિરોધીઓને જવાબ આપી દીધો છે. આજે ફેરણી બાદ તેઓ ભાજના જિલ્લા લીગલ સેલની મહત્વની બેઠકમાં હાજર રહ્યા હતા. અને અગ્રણીઓના આશિર્વાદ પણ મેળવ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગની જોય ટ્રેન માત્ર નામ પુરતી જ રહી