સુરતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’નું આયોજન, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- PM મોદીની ગેરંટી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’નું આયોજન થઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાના દાંતા ખાતેથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અને લાભ સામાન્ય લોકોને મળે તે હેતુંથી રાજ્યભરમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું આયોજન કરાઈ રહ્યું છે. રાજ્યના વિવિધ સ્થળે 9થી 11 ડિસેમ્બર દરમિયાન આ યાત્રા યોજવા જઈ રહી છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
'પીએમ મોદીની વિકાસયાત્રા દેશના ખૂણે ખૂણે પહોંચી'
સુરતના વરાછા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતના ટોચના નેતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસયાત્રા સાલ 2014થી ભારતના ખૂણે ખૂણે પહોંચી રહી છે. પીએમ મોદીની ગેરંટી કાશ્મીરથી કન્યા કુમારી સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે, આપનો એક જ સંકલ્પ છે કે ભારતના તમામ ગામો વિકસિત હોય. આ યાત્રા દેશના કરોડો લોકોનું સપનું સાકાર કરવા માટે માધ્યમ બની છે. આ યાત્રાના રથ થકી લોકોના સપના સાકાર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ રથ આવે છે અને લોકો પાસે જઈને તેમને સરકારી યોજનાની માહિતી અને લાભ અંગે જણાવે છે. પહેલા સરકારી યોજનાની માહિતી કે લાભ લેવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે સરકારી યોજનાના લાભ માટે સરકારી કચેરી સુધી જવું નહીં પડે.
'સુરતમાં 27,653 લોકોએ વિવિધ યોજનાનો લાભ લીધો'
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરત શહેરમાં 27,653 લોકોએ વિવિધ યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે 25, 860 લોકોએ એકબીજાને મદદ કરવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમ થકી 12 હજાર લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે. તેમણે કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં આપણા વિસ્તારમાં અનેક બદલાવ આવ્યા, અનેક સુવિધા આવી. પીએમ મોદીએ દેશના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ચિંતા કરી છે. જ્યારે ઘરમાં બીમારી આવે છે તો વર્ષો વર્ષની બચત વપરાય જાય છે. પરંતુ, હવે આયુષ્યમાન યોજના હેઠળ સવાસો કરોડ ભારતીય પરિવારને નવી દિશા મળી છે. આયુષ્યમાન કાર્ડ થકી મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારની સારવાર ફ્રી છે. ગુજરાત સરકારે પણ આયુષ્યમાન કાર્ડની મર્યાદામાં 5 લાખનો વધારો કર્યો છે. હાલના સમયમાં ઘૂંટણના ઓપરેશન માટે લોકો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે છે. જ્યારે ડાયાલિસિસ માટે મોદીજી દિલ્હીથી રૂપિયા મોકલે છે.
કોંગ્રેસ ગરીબોના રૂપિયા ખાઇ જાય છે: હર્ષ સંઘવી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાના વેપારીને વ્યવસાય કરવા માટે અને તેને ચલાવવા માટે ઘણી વખત મૂડીની જરૂર પડતી હોય છે. ત્યારે નાના વેપારીઓ મોટા વ્યાજે રકમ લેતા હોય છે, જેના કારણે તેમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે, નાના વેપારીઓની આ સમસ્યાને દૂર કરવા માટે પીએમ મોદી સ્વનિધી યોજના લાવ્યા, જેના થકી નાના વેપારીઓને રાહત દરે લોન આપવામાં આવી છે. આ યોજના હેઠળ 10 હજારથી લઈને રૂ. 50 હજાર સુધીની લોન આપવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન કાર્ડ યોજના અને ઉજ્જવલા યોજનાના લાભાર્થી સાથે પણ સંવાદ કર્યો હતો. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ ગરીબોના રૂપિયા ખાઇ ગયા છે. તેમના ત્યાં કરોડો રૂપિયા મળે છે. જ્યારે મોદીજી લોકોને લોન આપે છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીજીની યોજના ગૌતમભાઈ અને વસીમભાઈ બંને માટે છે. પીએમ મોદીએ ભારત દેશને સ્વચ્છ બનવા માટે પણ પ્રયત્ન કર્યા છે. યુવાનો માટે ખેલો ઇન્ડિયા, ગૃહિણીઓ માટે ઉજ્જવલા જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - ડીસા તાલુકા ભાજપ પ્રમુખનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ