Arvind Kejriwal : 'ઇમાનદાર રાજનીતિ'ની વાતો કરનાર CM કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો સાથે ગુજરાતના પ્રવાસે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી ગુજરાતના પ્રવાસે છે. સીએમ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજકારણ ગરમાયું છે. ભાજપના (BJP) ઉપાધ્યક્ષ ભરત બોધરા (Bharat Bodhra) અને આદિવાસી નેતા છોટુ વસાવાએ (Chotu Vasava) સીએમ કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈ આકરા પ્રહાર કર્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા સીએમ કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat) આવવાના હતા, પરંતુ દિલ્હી બજેટને લઇને તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દરમિયાન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) પણ દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની સાથે ગુજરાત પ્રવાસે આવશે.
લીકર પોલિસી કૌભાંડ મામલે ED ના સમન્સ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે ED (Enforcement Directorate) ના સમન્સનો સામનો કરી રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા દિલ્હી સીએમ હવે ગુજરાતની મુલાકાતે છે. તેમની આ મુલાકાતને લઈને ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ (Bharat Bodhra) આકરા પ્રહાર કર્યા છે. ભરત બોધરાએ કહ્યું કે, જ્યારે કોઈ ચૂંટણી આવે છે ત્યારે જ કેજરીવાલને ગુજરાતની યાદ આવે છે. ગુજરાતની પ્રજા મૂર્ખ નથી. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ એક ભ્રષ્ટાચારી નેતા છે. તેમના મંત્રીઓ જેલમાં છે. ન્યાયતંત્ર એ પણ તેમને જામીન આપવાની ના પાડી દીધી છે. ભરત બોધરાએ કહ્યું કે, AAP સરકાર દિલ્હીમાં શું કરે છે? એ સૌ કોઈ જાણે છે.
બીજી તરફ આદિવાસી નેતા છોટુ વસાવાએ (Chotu Vasava) પણ આપ નેતા અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) ગુજરાત મુલાકાતને લઈને શાબ્દિક પ્રહાર કર્યા છે. છોટુ વસાવાએ કહ્યું કે, તેમના ગુજરાત આવવાથી કશું થવાનું નથી. કેજરીવાલે મોરબી પુલ (Morbi Bridge) દુર્ઘટનાના સમયે જનતા માટે લડવું જોઈતું હતું. આદિવાસી મુદ્દે રજૂઆત કરવી જોઈતી હતી. છોટુ વસાવાએ વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા (Chaitar Vasava) હાલ જેલમાં છે, ત્યારે કેજરીવાલ, ભગવંત માન અને ગોપાલ ઇટાલિયા એ વકીલ તરીકે કેવી દલીલો કરી? તેમણે કહ્યું કે, તેમના કેટલાક નેતાઓ પૈસા અને સત્તાની લાલચે પાર્ટી છોડી જાય છે. તેમના આવવાથી કશું થવાનું નથી.
અગાઉ કેજરીવાલે ED ને સપોર્ટ કરવાની વાતો કરી હતી
જણાવી દઈએ કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે અને ઇડી દ્વારા વારંવાર સમન્સ પાઠવ્યાં છતાં પણ તેઓ હાજર થતા નથી. જો કે, અગાઉ કેજરીવાલે EDના સમન્સનો ત્વરિત જવાબ આપવો જોઈએ તેવી વાતો કરી હતી. પહેલા મોટી મોટી વાતો કરવી અને પછી જ્યારે પોતાના પર આવે ત્યારે તે જ વાતથી અલગ કામ કરવું તેવી નીતિ અપનાવતા હાલ અરવિંદ કેજરીવાલ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, વર્ષ 2012 માં અરવિંદ કેજરીવાલે ED ને સપોર્ટ કરવાની વાતો કરી હતી. તેમણે જે તે સમયે એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, “એક દેશભક્ત ભારતીય તરીકે મારું માથું શરમથી ઝુકી જાય છે, જ્યારે આપણા ભ્રષ્ટ નેતાઓ તપાસ એજન્સીઓના અનેક સમન્સ આવ્યાં પછી પણ ED અને CBI સમક્ષ હાજર થતા નથી. આરોપ લાગવાની સાથે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ.” જો કે, હવે અરવિંદ કેજરવાલ પોતે જ ઇડીના સમન્સની અવગણના કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ પર સરકારી આવાસના રિનોવેશનમાં રૂ. 45 કરોડના ખર્ચ, મહોલ્લા ક્લિનિક યોજનામાં કૌભાંડ, લીકર પોલિસી કૌભાંડ સહિતના આરોપ છે. શરૂઆતમાં ઈમાનદાર રાજનીતિની વાત કરનારા કેજરીવાલ હવે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયા છે.
AAP ના કેટલાક નેતાઓ પણ કોઈ ન કોઈ મામલે જેલ જઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં કેટલાક આપ નેતાઓ પોતાની પાર્ટી છોડીને અન્ય દળમાં જોડાયા છે. કેટલાક એવા પણ છે, જેઓ આપ પાર્ટી છોડ્યા બાદ અન્ય કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. જાણો આ નેતાઓ વિશે..
AAP ના આટલા MLA જઈ ચુક્યા છે જેલ!
> અમાનતુલ્લા ખાન
> નરેશ યાદવ
> અખિલેશ પતિ ત્રિપાઠી
>મહેન્દ્ર યાદવ
> જગદીપ સિંહ
> સુરિન્દર સિંહ
> મનોજ કુમાર
> દિનેશ મોહનિયા
> શરદ ચૌહાણ
> પ્રકાશ જરવાલ
> ડો. બલબીર સિંહ
> અમિત રતન કોટફત્તા
AAPના આ નેતાઓ પણ ગયા જેલ!
> મનિષ સિસોદિયા
> સત્યેન્દ્ર જૈન
> સંજય સિંહ
> વિજય નાયર
> સોમનાથ ભારતી
ગુજરાતમાં કોણે છોડ્યું AAP?
> ભૂપેન્દ્ર ભાયાણી
> ઈન્દ્રનીલ રાજ્યગુરૂ
> વશરામ સાગઠિયા
> નિખિલ સવાણી
> અર્જુન રાઠવા
> ભેમાભાઈ ચૌધરી
> પ્રફૂલ્લ વસાવા
કોણે કોણે છોડ્યું AAP?
> કુમાર વિશ્વાસ
> યોગેન્દ્ર યાદવ
> આશુતોષ
> પ્રશાંત ભૂષણ
> કપિલ મિશ્રા
> આશિષ ખેતાન
> શાજિયા ઈલ્મી
> અંજલિ દમાનિયા
> મયંક ગાંધી
> મધુ ભાદુડી
> આનંદ કુમાર
> અજિત ઝા
આ પણ વાંચો - BSF ગુજરાત દ્વારા આયોજિત 3 દિવસીય બુટ કેમ્પનો પ્રારંભ