વિવિધ વિકાસકામો માટે CM Bhupendra Patel એ એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા
- રાજ્ય સરકારે 605.48 કરોડના વિકાસ કામો મજૂર કર્યા (CM Bhupendra Patel)
- નગરોમાં પર્યાવરણ શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનનો હેતુ
- 25 નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા ફાળવાશે
- 13 નગરોમાં લાઇબ્રેરી-ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસનાં કામો માટે એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 2010 માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-SJMSVY અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે.
શહેરી જનજીવન સુખાકારીનો અભિગમ
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમ જ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામો માટે મળવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યનાં નગરો-શહેરોમાં વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચારું રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જનજીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.
25 નગરપાલિકાઓને નવીન બાગ-બગીચા વિકસાવવા માટે રૂ. 40 કરોડ ફાળવ્યા
નગરોમાં વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી-શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુસર રાજ્યની 25 નગરપાલિકાઓને નવીન બાગ-બગીચા વિકસાવવા માટે 40 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાનાં સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે. મુખ્યમંત્રીએ નગરોમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા 13 નગરપાલિકાઓને ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકા દીઠ રૂ. 3 કરોડ મળી કુલ 39 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એટલું જ નહીં, 22 નગરપાલિકાઓમાં હાલ કાર્યરત ગ્રંથાલયનાં ભવનનાં રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂ. 1.50 કરોડ પ્રમાણે કુલ 33 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ પણ વાંચો - શું ગુજરાતમાં જોવા મળશે રાજકીય ઉથલપાથલ? હવામાન શાસ્ત્રી Ambalal Patel ની ચોંકાવનારી આગાહી!
નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોનાં વિકાસ માટે રૂ. 15.72 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઈન અને સ્ટ્રીટ લાઈટનાં કામો માટે રૂ. 4.49 કરોડ, ગણદેવીને જલારામ મંદિરથી કસ્બાવાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડ પર સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 72.69 લાખ, દ્વારકા નગરપાલિકામાં રેલવે અન્ડરબ્રિજ ટુ ટ્રેક સી.સી. રોડ બનાવવા રૂ. 4.62 કરોડ, ધરમપુરને સ્ટ્રીટ લાઈટના કામો માટે રૂ. 1.90 કરોડ અને લીંબડીને સીસી રોડનાં કામો માટે 3.77 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોમાં નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ વિકાસ કામો માટે ₹ 605.48 કરોડની ફાળવણી કરી.
જે અંતર્ગત,
🔶 લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ,…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 20, 2025
તળાવ બ્યુટિફિકેશન માટે રૂ. 26.35 કરોડની ફાળવણી
ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂ. 112.53 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ખંભાત શહેરમાં નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે રૂ. 66.11 કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે રૂ. 56.42 કરોડ મંજૂર કરાયા છે. આ રકમમાંથી દહોદમાં પાટા ડુંગરી ડેમથી અલગ પાઈપલાઈનની કામગીરી તથા નગરપાલિકાનાં તમામ વોટરવર્ક્સને ઇન્ટરકનેક્ટ કરવાનાં કામો કરવામાં આવશે. સાણંદ, વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે રૂ. 26.35 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમા સાણંદ નગરપાલિકા વિસ્તારમાં મહત્ત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે રૂ. 13.50 કરોડ, વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે રૂ. 6.42 કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે રૂ. 6.43 કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉપરાંત, ભાવનગર મહાનગરપાલિકાને કરચલિયા પરા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂ. 99.89 કરોડ તથા માંડવી-કચ્છ નગરપાલિકાને 16.86 કરોડ અને મુંદ્રા-બારાઈ નગરપાલિકાને 1.64 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિર્માણ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 15.29 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. તે અંતર્ગત બારડોલીને 99.52 લાખ, સોનગઢને 29.74 લાખ, વલસાડને 1.02 કરોડ, બીલીમોરાને 70.15 લાખ, સાણંદ નગરપાલિકાને 40 લાખ, પાદરા નગરપાલિકાને 42.90 લાખ, બાબરા નગરપાલિકાને 3.69 કરોડ તેમ જ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને 7.78 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો - Mehsana : સાવચેત રહેજો! રાજ્યમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવણી
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં વડોદરા મહાનગરપાલિકાને સીસીરોડ તથા પેવર બ્લોક માટે ઉત્તર ઝોનના 12 કામો માટે 2.02 કરોડ રૂપિયા તેમ જ દક્ષિણ ઝોનના 15 કામો માટે 2.08 કરોડ રૂપિયા મળી કુલ 4.10 કરોડ રૂપિયા તથા માણસા નગરપાલિકાને 35.22 લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત, વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકાસ કાર્યો માટે કુલ 104 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે.
આ કામોમાં લાલકોર્ટ ઇમારતના આધુનિકીકરણ માટે રૂ. 40 કરોડ, કમાટીબાગ પાસે નવીન ફુટ ઓવરબ્રિજ માટે રૂ. 12 કરોડ, ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઈબ્રેરી માટે રૂ. 2.50 કરોડ, હરણી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઈબ્રેરી માટે રૂ. 2.50 કરોડ, નવનાથ મંદિરોના ગેટ માટે રૂ. 2 કરોડ, ગાંધીનગર-ગૃહના નવીનીકરણ માટે 10 કરોડ, સમા ખાતે નગરગૃહ માટે રૂ. 20 કરોડ, કામનાથ મંદિર અને કમાટીબાગને જોડતા વોકિંગ બ્રિજ માટે રૂ. 10 કરોડ તેમ જ પારેશ્વર મહાદેવ મંદિરથી ગોત્રી ગાર્ડનને જોડતા આર.સી.સી. કેબલ વોકિંગ બ્રિજના કામોનો સમાવેશ થાય છે.
નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ, સુગમ યાતાયાત માટેના વિકાસકામો માટે ફાળવણી
મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા તથા યાતાયાતને વધુ સુગમ બનાવવાના હેતુથી દ્વારકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે રૂ. 88.88 કરોડ મંજૂર કર્યા છે. તેમાં દ્વારકા નગરપાલિકાને રૂ. 49.87 કરોડ અને ધ્રાંગધ્રા નગરપાલિકાને રૂ.39.01 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સમગ્રતયા વિકાસકામોથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોનાં વિસ્તારોની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.
આ પણ વાંચો - Mahisagar : જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારવાની શરૂઆત ગુજરાતમાં ?