રાજકોટ સિવિલમાં દર્દીઓ ભગવાન ભરોસે? હકાભા ગઢવીએ કહ્યું - મારી ઓળખાણ હોવા છતા..!
- રાજકોટ સિવિલમાં લુખ્ખાગીરીનો ગંભીર આરોપ
- હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ વ્યક્ત કરી વ્યથા
- દર્દીઓ સાથે લુખ્ખાગીરી જેવું વર્તન થાય છેઃ હકાભા
- આરોગ્ય મંત્રી રાજકોટ સિવિલમાં ધ્યાન આપોઃ હકાભા
- મંત્રીનું પણ નથી સાંભળતું સિવિલનું તંત્રઃ હકાભા
- ડૉક્ટર મોડા આવે છે, દર્દીને પરેશાન કરે છેઃ હકાભા
- સરકારની છબી ખરડાય તેવી કામગીરીઃ હકાભા
- સિવિલમાં નાના ગરીબ માણસોનું શું થતું હશે?: હકાભા
- મારી ઓળખાણ છે છતાં કામ નથી થયુંઃ હકાભા
- સિવિલમાં નાના માણસો મરી રહ્યાં છેઃ હકાભા ગઢવી
- હકાભા ગઢવીની બહેનનો અકસ્માત થતા ગયા હતા
- સિટી સ્કેન દરમિયાનની વ્યથા હકાભાએ વર્ણવી
Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં દર્દીઓ સાથે થતા ખરાબ વ્યવહાર અને અપૂરતી સેવાઓનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આ મામલે પોતાની વ્યથા વ્યક્ત કરીને હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. તેમણે હોસ્પિટલના તંત્ર પર લુખ્ખાગીરીનો આરોપ લગાવતા જણાવ્યું કે, અહીં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ માણસોની હાલત ખૂબ જ કફોડી બની રહે છે.
હકાભાનો અંગત અનુભવ
હકાભા ગઢવીએ આ વાત ત્યારે જાહેર કરી જ્યારે તેમની બહેનનો અકસ્માત થયો અને તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં લઈ જવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, મારા બહેન ગરીબ માણસ છે, આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે. તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા હતા, ત્યારે રસ્તામાં મારી બહેનને એક ગાડીવાળાએ ઉડાવી દીધા, ગાડીવાળો ત્યાંથી ફરાર થઈ ગયો, મારી બહેનને હેમરેજ થયું અને તે બેભાન થઈ ગયા. ત્યારબાદ તેમને મોરબી સિવિલમાં લઈ જવામાં આવ્યા, ત્યાંથી કહ્યું કે રાજકોટ સિવિલમાં લઈ જાઓ, ત્યાં ટાંકા લીધા 2 કલાક બગડ્યા. તે પછી રાજકોટ સિવિલમાં લાવ્યા, હું પણ ત્યાં પહોંચ્યો. પણ ત્યા પહોંચ્યા પછી મને રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં ખુબ ખરાબ અનુભવ થયો.
હકાભાએ સરકારને તપાસ કરવા કહ્યું
તેમણે કહ્યું કે, સરકાર પૂરૂ ધ્યાન આપે છે, હોસ્પિટલના ડોક્ટરો નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. જેટલી પ્રાઈવેટ હોસ્પિટલમાં સુવિધા ન હોય તેટલી સિવિલ હોસ્પિટલમાં છે. પણ કોઈ ધ્યાન આપતું નથી. મારી બહેનનું 5 કલાકે સિટી સ્કેન થયું છે, સાહેબ 5 કલાકમાં માણસ મરી જાય. લાંબી લાઈન લાગેલી હતી, CCTV કેમેરામાં જોઈ શકો છો, મેં કહ્યું કે ફટાફટ આમને લઈ લો સિરિયસ છે, મને ડોક્ટરે જવાબ આપ્યો, વારો આવે તેમ આવે શાંતિથી બેસી જાવ. મેં કહ્યું હું હકાભા છું, સાહેબ મારી સાથે તમે આમ વર્તન કરો છો તો નાના માણસનું શું? મેં કહ્યું સાહેબ તમે આમાં જોવો કેટલા સિરિયસ છે તે તપાસો અને તેને પહેલા લ્યો. કોઈએ સાંભળ્યું નહી, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે મગજનો ડોક્ટર આવ્યો. હું સરકારને વિનંતી કરૂં છું, આમની તપાસ કરો, તમે કોઈ માણસ મોકલો તો ખ્યાલ આવે આ કેવી રીતે કામ કરે છે.
રાજકોટ સિવિલમાં લુખ્ખાગીરી કેમ?
અહીં સવાલ ઉભો થઇ રહ્યો છે કે, રાજકોટ સિવિલમાં લુખ્ખાગીરી કેમ? રાજકોટ સિવિલ હોસ્પિટલ, જે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનું કેન્દ્ર હોવું જોઈએ, તે હવે લુખ્ખાગીરી અને બેદરકારીના આરોપોને કારણે ચર્ચામાં છે. આજે, 11 માર્ચ 2025ના રોજ, આ મુદ્દાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ હજુ સુધી જવાબદાર તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી.
લુખ્ખાગીરીનું કારણ શું?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાગીરીનો આરોપ નવો નથી, પરંતુ તેની તીવ્રતા હવે સહનશીલતાની સીમા વટાવી ગઈ છે. દર્દીઓ અને તેમના સગાઓની ફરિયાદ છે કે હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા બેદરકારી અને અયોગ્ય વર્તનનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં એક મોટો સવાલ એ ઉભો થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે? શું હોસ્પિટલનું તંત્ર અને ડૉક્ટરો આ સંસ્થાને પોતાની જાગીર સમજે છે?
ગંભીર દર્દીઓની સારવારમાં વિલંબ
જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીઓની સંભાળ લેવામાં હોસ્પિટલની નિષ્ફળતા સૌથી ગંભીર મુદ્દો છે. ઘણા દર્દીઓનો આક્ષેપ છે કે ડૉક્ટરો સમયસર હાજર રહેતા નથી અને જરૂરી સારવારમાં વિલંબ થાય છે. આવી બેદરકારી ખાસ કરીને ગંભીર દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ એક મોટો પ્રશ્ન ઉભો કરે છે કે આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે?
સેલિબ્રિટી અને મંત્રીઓનું પણ નથી સાંભળતા
આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલનું તંત્ર સેલિબ્રિટી અને મંત્રીઓની વાત પણ સાંભળતું નથી. જો પ્રભાવશાળી લોકોની ફરિયાદોનું પણ સમાધાન નથી થતું, તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે? આ બાબત હોસ્પિટલની વ્યવસ્થાની ઉદાસીનતા અને અવ્યવસ્થાને દર્શાવે છે.
લુખ્ખાગીરી સામે એક્શનની માંગ
આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક સ્પષ્ટ સવાલ ઉભો થાય છે કે આ લુખ્ખાગીરી કરનારા ડૉક્ટરો અને તંત્ર સામે એક્શન ક્યારે લેવામાં આવશે? રાજકોટના સિવિલ તંત્રના સત્તાધીશો પાસે આનો જવાબ હોવો જોઈએ, પરંતુ હજુ સુધી તેમનું મૌન ચિંતાજનક છે. હવે આ મામલે સરકારનું સ્ટેન્ડ શું રહે છે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો : રાજ્યમાં કાળઝાળ ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર!