પેટના જણ્યાંને વેંચી દેવાનો જીવ કેમ ચાલે?
સંતાનોની વાત આવે ત્યારે આપણે ત્યાં મા-બાપના બલિદાનના દાખલા દેવામાં આવે છે. પેટે પાટા બાંધીને સંતાનોને ઉછેર્યા હોય એની વાતો કરવામાં આવે છે. લોકો શેર માટીની ખોટ પૂરી કરવા માટે અનેક માનતા, બાધા, આખડી રાખતા હોય છે. જે પરિવારમાં બાળકો નથી હોતા એ પરિવાર અધૂરો લાગે છે. સંતાનો અને મા-બાપની વાત આવે ત્યારે અનેક દ્રષ્ટાંતો આપણે આપણાં જ સમાજમાં, આસપાસમાં જોઈએ છીએ. આખરે બધું કોના માટે એ વિચારમાàª
સંતાનોની વાત આવે ત્યારે આપણે ત્યાં મા-બાપના બલિદાનના દાખલા દેવામાં આવે છે. પેટે પાટા બાંધીને સંતાનોને ઉછેર્યા હોય એની વાતો કરવામાં આવે છે. લોકો શેર માટીની ખોટ પૂરી કરવા માટે અનેક માનતા, બાધા, આખડી રાખતા હોય છે. જે પરિવારમાં બાળકો નથી હોતા એ પરિવાર અધૂરો લાગે છે. સંતાનો અને મા-બાપની વાત આવે ત્યારે અનેક દ્રષ્ટાંતો આપણે આપણાં જ સમાજમાં, આસપાસમાં જોઈએ છીએ. આખરે બધું કોના માટે એ વિચારમાં અંતે તો સંતાન જ હોય છે. જન્મ આપ્યો હોય એની સંભાળ લેવી, ઉછેરવું, કેળવણી આપવી, સંસ્કાર આપવા એ આપણે ત્યાં સહજ વાત ગણવામાં આવે છે. આપણાં સમાજની તાસીર જ સંતાનોની જિંદગી બેટર કેવી રીતે થઈ શકે એવી છે. એવામાં કેટલાંક કિસ્સાઓ આપણને વિચારતા કરી મૂકે એવાં બને છે.
અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ સત્તા સંભાળી ત્યારે ત્યાંના લોકોમાં અંધાધૂંધી સર્જાઈ હતી. એરપોર્ટ ઉપર અમેરિકી સૈનિકો સામે પોતાના સંતાનને ફેંકતી માતાની તસવીર અને વિડીયો વાયરલ થયા હતાં. વિદેશના કેટલાંક પછાત અને ગરીબ દેશોમાં સંતાનોને વેંચી દેવું કોઈ નવી વાત નથી. પણ ભારતમાં તમે પોતાના સંતાનને વેંચી ન શકો. ભારતમાં તમે કોઈની કૂખ ભાડે રાખીને સંતાન પામી શકો. સરોગસી દ્વારા સંતાનપ્રાપ્તિ કરવી એ રુપિયાવાળા લોકોમાં સહજ વાત છે. પણ રુપિયા મેળવવા માટે સંતાનને વેંચવું એ વિચારતા કરી મૂકે એવો મુદ્દો છે.
ઈન્દોરની એક માતા એ પતિની સહમતી સાથે પોતાના પંદર દિવસના દીકરાને વેંચી દીધો. મજૂરી કરીને પેટીયું રળતા અંતરસિંહ અને શાયનાનું આ બાળક છે. અંતરસિંહને એમ હતું કે, પત્નીના ગર્ભમાં જે બાળક છે એનું નથી. આથી એ યુગલ એબોર્શન કરાવવા ગયેલું. પણ એ થઈ ન શક્યું. પેટમાં પાંગરતો જીવ વધારાનો છે એવું લાગવા માંડ્યું એમાં બાળકનો સોદો કરવા માટે ક્યાંકથી વાત મળી. બસ પછી તો દલાલોએ કમિશન કાપીને દેવાસની રહેવાસી લીનાને બાળક સાડા પાંચ લાખમાં વેંચી દીધું. હદ તો એ છે કે, આ માતાએ સંતાનને વેંચીને મેળવેલી રકમમાંથી ટીવી, કુલર, બાઈક, ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી. જીવતું જાગતું બાળક આવે અને ગાયબ થઈ જાય. બીજી જગ્યાએ અચાનક બાળકની કિલકારીઓ ગૂંજવા માંડે આ આખો મામલો એમ કંઈ થોડો દબાયેલો રહે. બધું બહાર આવી ગયું. બાળક વેંચનાર, ખરીદનાર અને દલાલોને પોલીસે પકડી લીધાં. અંતરસિંહ ફરાર છે. એ પણ વહેલા મોડો પકડાઈ જવાનો છે. સવાલ એ છે કે, હવે એ બાળકનું શું થશે? માતા એને વેંચવા ગઈ એટલે માતની ધરપકડ થઈ. મા સ્વાર્થી બની તેમ છતાં એ એની બાયોલોજિકલ મધર છે એટલે એણે જ એ સંતાનને ઉછેરવું પડશે. એટલે બાળક ફરી વહેલાં મોડું એના ખોળામાં જ આવશે. સંતાનને વેંચવાના ગુનામાં જ એ માતા એ જ સંતાન સાથે જેલમાં રહેશે. પતિને શંકા હતી કે, પત્નીના આગલા પતિનું એ સંતાન છે. એને કોઈ દિવસ પિતાનો સ્નેહ મળશે કે કેમ? આખું કોકડું એવું ગૂંચવાશે કે, બાળક સરવાળે કોઈનો પ્રેમ પામશે કે કેમ?
આ ક્યા પ્રકારની માનસિકતા હશે?
એ વિચાર અંગે જાણીતા સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે, મટિરીયાલિસ્ટીક બનવા તરફની દોડ અને દેખાદેખીમાં એ માએ સંતાનને વેંચી દીધું. એની માનસિકતા એ પ્રકારની હશે કે, આરામપ્રિય રીતે જીવવું છે. કોઈપણ ભોગે આગળ વધવું છે. સમાજમાં લોકો ભૌતિક સુખ-સગવડ સાથે જીવે છે તો હું પણ એ લકઝરીઓ ભોગવું. આ પ્રકારના લોકો સેલ્ફ સેન્ટર્ડ મતલબ કે પોતાની જાતને જ પ્રાયોરિટીમાં રાખનારા હોય છે. માતૃત્વની સંવેદના કરતા એની જરુરિયાતો વધુ ઉપર હોય. સ્વાર્થી વિચારસરણી અને પોતાનું સુખ મહત્ત્વનું સમજે એવી વ્યક્તિ માટે માતૃત્વ કે પોતાના પેટમાં ઉછરેલાં જીવ માટે ખાસ કોઈ લાગણી ન હોય ત્યારે આવી વિકૃતિ માનસમાં વિકસતી હોય છે.
ભારતમાં બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ કડક કરી દેવાઈ છે. આથી માનવતસ્કરીના બનાવો ઉપર રોક લગાવી શકાય. જો કે, માનવતસ્કરીના બનાવો બનતાં જ રહે છે. બાળકોને વેંચવાના બનાવોમાં ઈન્દોર જેવો કોઈ કિસ્સો જાણમાં આવે ત્યારે પોલીસ પગલાં લે છે. કડવી વાસ્તવિકતા સાથેના શબ્દોમાં લખી તો, વણજોઈતા સંતાન માટે પણ કોઈ માતા ભાગ્યે જ આવું વિચારી શકતી હોય છે. પરિવારમાં વધારાના સંતાનો માટે પણ માની ભાવના અણગમાની નથી આવતી તો પછી એને વેંચી દેતાં તો જીવ કેવી રીતે ચાલી શકે? પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકતી માતાની શક્તિઓ વિશે દાખલાં દેવાય છે ત્યારે આવા કિસ્સાઓ આપણને વિચારતાં કરી મૂકે તેવા છે. આખરે જીવતી જાગતી વ્યક્તિ કરતાં ભૌતિક સુખ કેવી રીતે ઉપર હોય શકે?
Advertisement