ગાઝાની હોસ્પિટલ પર હુમલાની ઘટનામાં 500 લોકોના મોત પર PM મોદીનું ટ્વીટ 'હુમલામાં શામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઇએ'
ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઇએ.
પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં જાન-માલના દુ:ખદ નુકશાનથી ઊંડો આઘાત છે. . પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે, અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું.. ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.
પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે
હકીકતમાં, હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલમાં બ્લાસ્ટમાં 500 લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી.
ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ જ્યાં આ હુમલો થયો તે ઉત્તરી ગાઝામાં છે. આ હોસ્પિટલ એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હોસ્પિટલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે.
7 ઓક્ટોબરથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ છે
હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકો માર્યા ગયા હતા.. જવાબમાં, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓ પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત થયા છે.
ગાઝામાં અત્યાર સુધીમાં 48 વખત આરોગ્ય કેન્દ્રો પર હુમલા કરવામાં આવ્યા છે
કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બીના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલ પર 14 ઓક્ટોબરના રોજ પણ રોકેટ અથડાયું હતું.. આ હુમલામાં હોસ્પિટલના ચાર કર્મચારીઓ ઘાયલ થયા હતા. ડબ્લ્યુએચઓએ સોમવારે કહ્યું હતું કે 7 ઓક્ટોબરથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં સ્વાસ્થ્ય સુવિધાઓ પર 48 હુમલા થયા છે, જેમાં 12 આરોગ્ય કર્મચારીઓના મોત થયા છે. અલ-અહલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટ એટલો ગંભીર હતો કે હોસ્પિટલની ઇમારત પણ ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. જેના કારણે સેંકડો લોકો ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયા, તેથી તેમના સુધી મદદ પણ પહોંચી રહી નથી. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. અલ-અહલી અરબ હોસ્પિટલ પરના ભયાનક હુમલામાં ઘાયલ થયેલા લોકોને અલ શિફા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં 30,000 લોકોએ આશ્રય લીધો છે.