Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય પરિવારોમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે!

આખી દુનિયામાં ભારતની વસતિ ચીન પછી બીજા નંબરે આવે છે. ચીન અને ભારતની વસતિ વચ્ચે બહુ મોટો ફરક નથી. ચીનની વસતિ 143 કરોડ જેટલી છે એની સામે ભારતની વસતિ 138 કરોડ છે. આઠ અબજની વસતિ ધરાવતી આ દુનિયામાં ભારતની વસતિની ટકાવારી 17.7 ટકા છે. ભારતની કુલ વસતિ છે તેમાંછી 65 ટકા વસતિ યુવાવર્ગની છે. વસતિની દ્રષ્ટિએ આપણને આ આંકડા વધુ કદાચ લાગે. પરંતું, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા થોડા ચિંતાજનક છે. આ સર્વે મà
09:11 AM May 11, 2022 IST | Vipul Pandya
આખી દુનિયામાં ભારતની વસતિ ચીન પછી બીજા નંબરે આવે છે. ચીન અને ભારતની વસતિ વચ્ચે બહુ મોટો ફરક નથી. ચીનની વસતિ 143 કરોડ જેટલી છે એની સામે ભારતની વસતિ 138 કરોડ છે. આઠ અબજની વસતિ ધરાવતી આ દુનિયામાં ભારતની વસતિની ટકાવારી 17.7 ટકા છે. ભારતની કુલ વસતિ છે તેમાંછી 65 ટકા વસતિ યુવાવર્ગની છે. વસતિની દ્રષ્ટિએ આપણને આ આંકડા વધુ કદાચ લાગે. પરંતું, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા થોડા ચિંતાજનક છે. આ સર્વે મુજબ ભારતીય પરિવારો નાના થઈ રહ્યા છે. ભારતીય યુગલો સંતાનોને જન્મ આપવાની બાબતમાં બહુ વિચાર કરે છે. દર પરિવારે સંતાનોની સંખ્યા ધીમેધીમે ઘટી રહી છે. અગાઉના સમયમાં વધુ સંતાનો હોવાને સમૃદ્ધિ ગણવામાં આવતી તો આજના જમાનામાં બે સંતાનો બસ એવું મનાય છે. જો કે, આંકડા એવું કહે છે કે, કેટલાંક શહેરી વિસ્તારો અને રાજ્યોમાં એક સંતાન હોવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.  
ભારતને આઝાદી મળી ત્યારે દેશની વસતિ ચોંત્રીસ કરોડ હતી. એ સમયે ભારતની વસતિ વધારવા માટે પ્રોત્સાહન અપાતું હતું. 1952 સાલમાં પહેલી વખત સરકારે પરિવાર નિયોજનની પોલિસી બનાવી. જો કે, એ પોલિસીને વધુ અમલમાં મૂકવાથી વોટબેંક તૂટે એમ હતી એટલે તેને વધુ દબાણપૂર્વક પ્રજા ઉપર ઝીંકી નહોતી દેવાઈ. 1972ની સાલમાં પરિવારનિયોજનને આક્રમકતાપૂર્વક થોડાં સમય માટે અમલમાં મૂકવામાં આવેલું. એ બાદ વસતિ નિયંત્રણ માટે થોડાં વર્ષો સુધી કંઈ ન કરવામાં આવ્યું. એ બાદ હમ દો હમારે દોનો કોન્સેપ્ટ બહુ પ્રચલિત બન્યો. હવે કેટલાક યુગલો ફક્ત અમે બેની નીતિમાં જીવવા લાગ્યા છે.  
1952ની સાલમાં ભારતમાં પ્રજનન દર 5.9 હતો. મતલબ કે એક પરિવારમાં છ સંતાનો સામાન્ય બાબત હતી. જે આજે બે સુધી પહોંચ્યો છે. દિવસેને દિવસે આ ટ્રેન્ડ ઘટી રહ્યો છે. ડબલ ઈન્કમ નો કિડ્સની ફિલોસોફીમાં માનનારા યુગલોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પ્રજનન દર બે સુધી આવી ગયો એ કારણે આપણી વસતિ રાતોરાત ઘટી નથી જવાની પણ એંસી વર્ષ પછી આપણાં દેશની વસતિ બહુ ઝડપથી ઘટવા લાગશે. જો આજના સર્વેને ધ્યાને લેવામાં આવે તો ભવિષ્યમાં પ્રજનન દર 1.27 થઈ જશે એવું આંકડાશાસ્ત્રીઓ કહે છે. એક પરિવાર દીઠ એક બાળક જોવા મળશે.  
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ત્રણ અને ચારની વાત કરીએ. એમાં એક વાત ધ્યાને આવી હતી કે, એક સમયે ભારતીય પરિવારોમાં છ-સાત સંતાનો સામાન્ય બાબત હતી એ આજે એક પરિવાર દીઠ બે અથવા એક બાળક સુધી પહોંચી ગઈ છે. 2005-2006ની સાલમાં ટોટલ ફર્ટિલીટી રેટ 2.7 હતો જે એના પછીના સર્વેમાં 2015-16માં ઘટીને 2.2 થઈ ગયો. જે સર્વે હમણાં આવ્યો છે એમાં ટોટલ ફર્ટિલીટી રેટ 2.1 થઈ ગયો છે. શહેરી વિસ્તારમાં આ રેટ 1.6 થઈ ગયો છે જ્યારે ગામડાંઓમાં 2.1 ટોટલ ફર્ટિલીટી રેટ જોવા મળ્યો છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મેઘાલય, ઝારખંડ અને મણીપુરમાં પ્રજનન દર વધુ જોવા મળ્યો. સિક્કિમ, ગોવા, અંદામાન- નિકોબાર, લક્ષદીપ, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, લદાખમાં પ્રજનન દર 1.5 જોવા મળ્યો તો મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ટોટલ ફર્ટીલિટી રેટ બે છે. બાકીના બાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રજનન દર 1.6થી 1.9 જોવા મળ્યો છે.  
જ્યાં સ્ત્રીઓમાં ભણતર વધ્યું છે ત્યાં સંતાનોને જન્મ આપવા અંગે જાગૃત્તિ જોવા મળી છે. શહેરી વિસ્તારમાં નોકરી કરતી સ્ત્રીઓની સંખ્યા વધી છે, મોંઘવારી વધી, આર્થિક ભારણ વધ્યું એ સમસ્યાઓને કારણે 36 ટકાથી વધુ સ્ત્રીઓ એક જ બાળક  ચાહે છે જ્યારે  સાત ટકા જેટલી સ્ત્રીઓ બે બાળકને જન્મ આપવાનું વિચારે છે. એક સમયે ભારતીયોમાં ફક્ત સાડત્રીસ ટકા લોકો પરિવાર નિયોજન માટે કોઈ સાધનો વાપરતા હતા આજે એ ટકાવારી 67 ટકા ઉપર પહોંચી ગઈ છે. પહેલેથી જ ભારતમાં પરિવાર નિયોજનના ઓપરેશનમાં મહિલાઓનો ફાળો વધુ રહ્યો છે. 2005-6ની સાલમાં 36 ટકા મહિલાઓએ પરિવાર નિયોજન અપનાવ્યું, જે 2015-16માં બે ટકા વધ્યું હતું. આજે આ ટકાવારી પિસ્તાલીસ ટકાથી વધુ છે. દેશના 65 ટકાથી વધુ બાળકોને યોગ્ય ઉંમરે વેક્સીનેશન મળી જાય છે એટલે બાળકોના ઉજરવાનો દર મતલબ કે બાળકોના જીવી જવાનો દર પણ વધ્યો છે. એ વાત અલગ છે કે કુપોષણથી પીડાતા અને એનીમિક માતા-બાળકોની સંખ્યા હજુ ચિંતાજનક છે.  
પરિવારદીઠ બાળકોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શહેરમાં રહેતા યુગલો અને ગામડાંમાં રહેતા યુગલોની બાળકો કરવા અંગેની માનસિકતામાં બહુ ફરક જોવા મળે છે. શહેરમાં નોકરી કરતી સ્ત્રી ન હોય તો પણ એ બાળક કરવા અંગે બહુ વિચાર કરે છે. પતિની આવક અને પરિવારની જવાબદારીમાં બાળક કરીશું તો એને યોગ્ય રીતે ઉછેરી શકશું કે કેમ એવો વિચાર ગૃહિણી પણ કરે છે. નોકરી કરતી સ્ત્રીઓ એક બાળક  ઈચ્છે છે. બહુ ઓછી અને નોકરી કરતી સ્ત્રીઓ બે બાળકો કરવા ચાહે છે. એક બાળક માટે પણ આજે અલગથી બજેટ વિચારવું પડે એટલી મોંઘવારી થઈ ગઈ છે. આજની પેઢીના યુગલો બાળક અને આર્થિક આયોજન બંને સમતોલ થાય તો જ આગળ વધે છે. એક બાજુ એવા પરિવારો પણ છે જે એવું વિચારે છે કે, બેથી વધુ બાળકો હોય તો પણ વાંધો નહીં. સમાજના બે અલગ અલગ વર્ગોમાં જ બે જુદાં જુદાં છેડાંની માનસિકતા જોવા મળે છે. 
ભારત થોડાં વર્ષોમાં વસતિની બાબતમાં ચીનને ટપી જવાનું છે. પણ ચીનની જરા વાત કરવી મહત્ત્વની છે. ત્યાં વસતિ નિયંત્રણને કારણે સામાજિક પ્રશ્નોના આંકડા વધી રહ્યા છે. કૂદકે ને ભૂસકે વધી રહેલી વસતિને કંટ્રોલ કરવા ચીને 1980 થી 2015 સુધી વન કપલ વન ચાઈલ્ડની પોલિસી રાખી હતી. 2016ની સાલમાં એક યુગલ બે બાળકોની પોલિસી ચીનમાં આવી. ચીનમાં આજે સમસ્યા એ થઈ ગઈ છે કે, મામા, માસી, કાકા, ફૈબા જેવા સંબંધો જ નથી રહ્યાં. એક પરિવાર એક બાળકને કારણે એક આખી પેઢીને આ સંબંધોનો સ્નેહ જ નથી મળ્યો. તેની સામે દરેક યુગલની માથે પોતાના મા-બાપ અને પાર્ટનરના મા-બાપ એમ ચાર ચાર વડીલોની જવાબદારી આવી ગઈ છે. આખું સામાજિક માળખું વિખેરાઈ ગયું છે. પરિવારની હૂંફ, સાથ, સહકાર, પારિવારિક સંબંધો જેવી કેટલીક લાગણીઓ આખેઆખી પેઢી મીસ કરી રહી છે. ચીનમાં અનેક સામાજિક સંસ્થાઓએ વર્ષો પહેલાં કહેલું કે, એક બાળકની પોલિસી દેશના પારિવારિક માળખાને ભાંગી નાખશે. ચીન અત્યારે આ આકરી હકીકત ભોગવી રહ્યું છે.  
ભારતમાં સંબંધોના આધારે ઘર અને જીવન ચાલતું હોય છે. આપણી આસપાસ જીવતાં એક બાળક હોય એવા પરિવારોમાં આજે નહીં પચીસ-ત્રીસ વર્ષ બાદ આ પરિસ્થિતિ આવવાની જ છે. પારિવારિક માળખાને જીવંત રાખવા માટે બાળકોનું આ દુનિયામાં આવવું અને સંબંધોનું ધબકવું જરુરી છે.
Tags :
calculationfamilyfertilityfertilityratefleeingchildGujaratFirsthealthhealthsurveyIndiaIndiancouplesNationalReproductiveHealth
Next Article