Chandipura Virus : 15 બાળકોનાં મોત, Sand Flies નો નાશ કરવા ડ્રાઇવ યોજાશે : આરોગ્ય મંત્રી
રાજ્યમાં વાયુવેગે ફેલાઇ રહેલા જીવલેણ વાઇરલ ચાંદીપુરાને (Chandipura Virus) લઈ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Hrishikesh Patel) જણાવ્યું હતું કે, હવે બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ પુના (Pune) નહીં મોકલવા પડે. ગાંધીનગરમાં (Gandhinagar) જ ચાંદીપુરા વાઇરસનું ટેસ્ટિંગ થશે. જણાવી દઈએ કે, અત્યાર સુધી બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ પુના મોકલવામાં આવતા હતા.
મૃત્યુ પામનાર મોટાભાગનાં બાળકો છે : આરોગ્ય મંત્રી
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કારણે અત્યાર સુધી 15 જેટલા માસૂમ બાળકોનાં મોત નીપજ્યાં છે. માનવજીવન માટે જોખમી આ વાઇરસને (Chandipura Virus) અંકુશમાં લેવા માટે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel), વિવિધ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, સમીક્ષા બેઠકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરાનાં શંકાસ્પદ 29 કેસો નોંધાયા છે. જે પૈકી 15 દર્દીઓનાં મોત થયા છે. મૃત્યુ પામનાર મોટાભાગનાં બાળકો છે.
'ચાંદીપુરા ચેપી રોગ નથી એટલે ડરવાની જરૂર નથી'
આરોગ મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, હવેથી બ્લડ ટેસ્ટ (Blood Test) માટે સેમ્પલ પુના મોકલવામાં નહીં આવે. ગાંધીનગરમાં જ ચાંદીપુરા વાઇરસનું ટેસ્ટિંગ થશે. અત્યાર સુધી રિપોર્ટ માટે રાહ જોવી પડી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, Sand Flies દ્વારા ચાંદીપુરા વાઇરલ ફેલાતો હોવાથી તેનો નાશ કરવા રાજ્યભરમાં પાવડરનો છંટકાવ કરવામાં આવશે. આ માટે આગામી દિવસોમાં દરેક તાલુકામાં ડ્રાઇવ યોજાશે. આ ડ્રાઈવમાં દવાનો છંટકાવ અને અન્ય કામગીરી હાથ ધરાશે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ચાંદીપુરા કોઈ ચેપી રોગ નથી એટલે લોકોએ ડરવાની જરૂર નથી. પરતું, ઘરની આસપાસ પાણી ભરાવવા ના દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, બાળકોને પૂરા કપડાં અને આખી બાયનાં કપડા પહેરાવવા સહિતની તકેદારી રાખવી જરૂરી છે. આ રોગ બાળકોમાં હોવાથી તેમની ખાસ કાળજી રાખવી જોઈએ. આરોગ્ય મંત્રીએ આગળ કહ્યું કે, બાળકને જો તાવ આવે ત્યારે પ્રાથમિક તબક્કે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું. ઘરગથ્થું ઉપચાર કરવામાં બદલે અને સામાન્ય તાવ સમજવાનાં બદલે ગંભીરતાથી લઈ તબીબ સારવાર લેવી જોઈએ.
આ પણ વાંચો - Chandipura Virus : જીવલેણ વાઇરસ ફેલાવનાર Sand Flies કેવી દેખાય છે ? જુઓ Video
આ પણ વાંચો - Chandipura Virus : રાજ્યમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો, CM ની બેઠક, કોંગ્રેસ નેતાનો મુખ્યમંત્રીને પત્ર
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં વકરેલા ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક, આજે મહત્વની બેઠક મળશે