બેરોજગારો માટે કોઇ નિર્ણય લેવામાં આવે તો આ Budget સાચું - જીગ્નેશ મેવાણી
આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય બજેટ રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે આ બજેટ પૂર્વે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તાપી રીવરલિંગ યોજનાના વિરોધ માટે પ્રદર્શન કરી રહ્યા છે.
બજેટ પૂર્વે વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર દ્વારા આ પ્રદર્શન કેમ અને કેવુ બજેટ ઇચ્છી રહ્યા છો તે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમના અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, "અત્યારે ગુજરાતનો બેરોજગાર યુવાન સૌથી પહેલા બજેટમાંથી અપેક્ષા તે રાખે છે કે ખાલી પડેલા તમામ સરકારી પદમાં કોઇ પણ સંજોગોમાં ભરતી કરવામાં આવે. જો તેની જાહેરાત આ બજેટમાં થાય તો આ બજેટ સાચું. બંધ પડેલી સ્મોલ અને મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીને રિવાઇવ કરવાની કોઇ બ્લૂ પ્રિન્ટ હોય તો આ બજેટ સાચું. આ બજેટ એવી અર્થનીતિ લઇને આવે કે જેના કારણે ગુજરાતની જનતા જે મોંઘવારીની ખાઇમાં છે તેને થોડી રાહત મળે તો આ બજેટ સાચું. હેલ્થનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક તાલુકામાં કઇ હદે ખાડે ગયુ છે તે આપણે કોરાનાકાળમાં જોયું. ન તો MRIના મશીનો છે ન તો સીટી સ્કેનના મશીનો છે. ન કોરોનાના ડાયગ્નોસિસ માટે બેસિક ઈક્વિપમેન્ટ છે. આવા સાધનોથી સજ્જ હોસ્પિટલ દરેક જિલ્લા-તાલુકામાં બને તો એ બજેટ સાચું. શિક્ષણ સૌને પોસાય તેવુ બને અને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટની નાબૂદી થાય અને જે આદિવાસી, દલિત, મુસ્લિમ, કોળી, ઠાકોર, ગરીબ અને વંચિત લોકોના હિતનું બજેટ હોય તો આ બજેટ સાચું. વળી તેમણે બજેટને લઇને તે પણ કહ્યું કે, હુ નથી માનતો કે મે જે અત્યારે કહ્યું તે પ્રમાણેનું બજેટ હશે. છેલ્લા 27 વર્ષથી હુ જોઇ રહ્યો છું કે ગમે તે કરો અમને તો ચૂંટણી જીતતા આવડે છે, આ પ્રકારનો એટીટ્યૂડ છે. મેવાણીએ વધુમાં કહ્યું કે, આ બજેટ ચૂંટણી લક્ષી જ હશે જે એક ચિંતાનો વિષય છે. આ બજેટથી માત્ર ગુજરાતના કોર્પોરેટરને રાજી કરવામાં આવશે. મને ખાતરી જ છે કે આ બજેટ મે જેમ પહેલા કીધું તે લોકો માટે નહી જ હોય."
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બીજા દિવસની શરૂઆત થશે. તેમા સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ અને શહેરી વિકાસ પર ચર્ચા થશે. તથા અલગ અલગ બોર્ડ નિગમના અહેવાલો વિધાનસભાના મેજ પર મુકાશે. તેમજ 2021-22 ના પૂરક ખર્ચની રજૂઆત થશે. તથા નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરશે. વળી આજનું બજેટ રાજ્યની જનતા માટે કેટલું લાભદાયી નીવડશે કે પછી જનતાને ભોગે ફરી એક વખત નિરાશા જોવા મળશે તે આજરોજ માલૂમ પડશે.