આજથી શરૂ થયો પવિત્ર શ્રાવણ માસ, ભોળાનાથને રિઝવવા ભક્તો કરતા હોય છે ઉપવાસ
શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો છે. શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે આ આખા મહિનામાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો શિવનો મહિનો છે. આ વર્ષે શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થયો છે.શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલા અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિં
03:24 AM Jul 29, 2022 IST
|
Vipul Pandya
શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો છે. શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે આ આખા મહિનામાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનો શિવનો મહિનો છે. આ વર્ષે શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થયો છે.
શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલા અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો પાંચમો મહિનો છે. શ્રાવણ મહિનો હિન્દી કેલેન્ડરમાં પાંચમા સ્થાને આવે છે. માન્યતાઓ અનુસાર, ભગવાન ભોલેનાથની પૂજા માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ શ્રાવણના દરેક સોમવારે વ્રત રાખીને ભગવાન શિવની પૂજા કરે છે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભગવાન શિવને ભક્તો મહાદેવ, ભોલેનાથ, આદિનાથ આમ અલગ-અલગ નામોથી બોલાવે છે. તેમનું એક નામ ત્રિપુરારી પણ છે. જેમ બ્રહ્માજી આ સૃષ્ટિના સર્જક છે અને વિષ્ણુજી પાલનહાર છે, તેવી જ રીતે શિવજી સૃષ્ટિના સંહારક છે. તેમની જીવનશૈલી અને પહેરવેશ વિચિત્ર છે. આપે સાંભળ્યું જ હશે કે, સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી હતી. તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્ત્વ છે તેમને ધારણ કર્યાં.
ભક્તો પણ શિવજીની ગરમી શાંત થાય તે માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે. ભોળાનાથને ગમે ત્યારે ભજી શકાય, પરંતુ તેમને શ્રાવણ માસ વિશેષ પ્રિય છે, કારણ કે શ્રાવણ માસમાં વાતાવરણમાં જળતત્ત્વ વધારે હોય છે. તેઓ ચંદ્ર (સોમ)ના ઇષ્ટદેવ છે, તેથી તેમને શ્રાવણના સોમવાર પણ પ્રિય છે. શિવજીને દરેક સોમવારે ક્રમશઃ એક મુઠ્ઠી ચોખા, સફેદ તલ, લીલા મગ, જવ અને પાંચમો સોમવાર આવતો હોય તો સાથવો ચઢાવવામાં આવે છે. ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે.
આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. શિવના ત્રિશુળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી થતું. ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે.
Next Article