PM મોદીએ ફરી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને આપ્યું નિવેદન, કહ્યું- તાત્કાલિક યુધ્ધવિરામ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના આગામી યુરોપ પ્રવાસ પર ડેનમાર્ક પહોંચી
ગયા છે. મંગળવારે ડેનમાર્ક પહોંચતા તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને ત્યારબાદ
વડાપ્રધાન મેટ્ટે ફ્રેડ્રિકસેન સાથે વાત કરી. ભારત અને ડેનમાર્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડેનિશ વડાપ્રધાન
મેટ ફ્રેડ્રિકસેનની હાજરીમાં કોપનહેગનમાં લેટર્સ ઓફ ઈન્ટેન્ટ અને એમઓયુની આપલે
કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા અને શિક્ષણ ક્ષેત્રે અનેક સમજૂતીઓ પર સહમતિ
થઈ હતી. ડેનમાર્કના પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ગ્રીન એનર્જી અંગે
સમજૂતી થઈ છે. આ દરમિયાન બંને વચ્ચે યુક્રેન સંકટને લઈને પણ ચર્ચા થઈ હતી.
બંને દેશ વચ્ચે સમજૂતી બાદ પીએમ મોદી અને ડેનિશ વડાપ્રધાન મેટ ફ્રેડ્રિકસેને
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે ઈન્ડો પેસિફિક
અને યુક્રેન સહિત ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાત કરી છે. અમે આશા રાખીએ છીએ કે
ભારત-EU વેપાર કરાર પર વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે. અમે નિયમ આધારિત
અને મુક્ત ઈન્ડો પેસિફિક પ્રદેશ બનાવવા પર ભાર મૂક્યો છે. અમે યુક્રેન પર
તાત્કાલિક યુદ્ધવિરામ અને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા માટે આગ્રહ કર્યો છે.
ભારત ગ્લાસગો કોપ 56માં લેવાયેલા સંકલ્પોને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. મને ખાતરી છે
કે તમારા નેતૃત્વમાં ભારત અને ડેનમાર્ક વચ્ચેના સંબંધો વધુ ઉંચાઈએ જશે.
આ દરમિયાન ડેનમાર્કના પીએમ ફ્રેડ્રિકસેને કહ્યું કે ડેનમાર્ક અને
ભારત અમારી ગ્રીન એનર્જી ભાગીદારીને કેટલાક નક્કર પરિણામોમાં ફેરવવા તરફ ઝડપથી આગળ
વધી રહ્યા છે. ભારત સરકાર ગ્રીન એનર્જી માટે ઉચ્ચ મહત્વાકાંક્ષા ધરાવે છે. મને
ગર્વ છે કે ડેનમાર્ક આ મહત્વપૂર્ણ મહત્વાકાંક્ષાઓને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા
ભજવશે.
તેમણે વધુમાં કહ્યું કે ડેનમાર્ક અને સમગ્ર યુરોપિયન યુનિયને યુક્રેન પર રશિયાના ગેરકાયદેસર અને
ઉશ્કેરણી વગરના આક્રમણની સખત નિંદા કરી હતી. મારો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે કે રશિયન
રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધને રોકવા અને હત્યાઓને સમાપ્ત કરવાના છે. મને આશા છે કે
ભારત આ મામલે રશિયાને પણ પ્રભાવિત કરશે. અમે યુક્રેનમાં નાગરિકો સામે આચરવામાં
આવેલા ભયાનક ગુનાઓ અને ગંભીર માનવતાવાદી સંકટના પરિણામોની ચર્ચા કરી. બુચામાં
નાગરિકોની હત્યાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. અમે આ હત્યાઓની નિંદા કરીએ છીએ. અમે આ
મામલે સ્વતંત્ર તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કોપનહેગનમાં ડેનિશ પીએમ મેટ્ટે
ફ્રેડરિકસેને કહ્યું કે હું આવતીકાલે અમારા બંને વચ્ચે ભારત-નોર્ડિક સમિટ 2022માં અમારા નોર્ડિક સાથીદારો સાથે
ચર્ચા ચાલુ રાખવા માટે આતુર છું.