લેઉવા પાટીદાર સમાજના 4000 વડીલોની યાત્રાનો આજે શંખલપુરથી પ્રારંભ, 115થી વધુ લક્ઝરી અને 250થી વધુ ગાડીઓ જોડાશે
4000 પાટીદાર સિનિયર સિટીઝન સાથેની એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રાનો પ્રારંભ,શંખલપુરથી નીકળેલી તીર્થયાત્રા દ્વારકા, સોમનાથ થઈ રવિવારે ખોડલધામ પહોંચશે શંખલપુર મંદિરે 6000 લોકોની હાજરીમાં સમૂહ આરતીથી દિવ્ય માહોલ રચાયો.
એકસાથે 4,000થી વધુ સિનિયર સિટીઝન્સ સાથેની પાટીદાર સમાજની સમગ્ર એશિયાખંડની સૌથી મોટી અને વિરાટ તીર્થયાત્રાનો આજે શુક્રવારે સાંજે મા બહુચરના ધામ શંખલપુરથી પ્રારંભ થયો હતો. આ પહેલાં ગ્રામજનો દ્વારા વડીલોનું ભવ્યાતિભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું હતું. બાળાઓ દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી. જ્યારે રાત્રે મા બહુચરના મંદિરે ધ્વજારોહણ બાદ મહા આરતીથી દિવ્ય માહોલ રચાયો હતો.
42 લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત આ ઐતિહાસિક તીર્થયાત્રામાં વડીલોને લાવવા લઈ જવા માટે 115 સ્લીપિંગ કોચ લક્ઝરી સામેલ છે, 850થી વધુ સ્વયંસેવકોની ટીમ સાથે છે. તીર્થયાત્રા શનિવારે સવારે દ્વારકા પહોંચશે. જ્યાં દિવસની છેલ્લી ધજા કે જેનું ખૂબ મહત્વ છે તે વડીલો દ્વારા ચડાવવામાં આવશે. ત્યાર બાદ દરિયાકિનારે વડીલ વંદના અને લોકડાયરો યોજાશે. રવિવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી સાંજના કાગવડ ખોડલધામ ખાતે દર્શન અને ધજારોહણ બાદ વડીલો પરત વતન ફરશે.
તીર્થયાત્રા એકસાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે
1300 કિલોમીટરની સામુહિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક હોવાથી આયોજક બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
તીર્થયાત્રા પર એક નજર :
- 1300 કિલોમીટર લાંબી તીર્થયાત્રા
- 4000 વડીલો 60 વર્ષથી વધુની ઉંમરના
- 115 લક્ઝરી બસ
- 250 ગાડીઓ
- 300 યુવક સ્વયંસેવક
- 250 મહિલા સ્વયંસેવક
- 300 વ્હીલચેર
- 200 વોકીટોકી
- 75 લાખથી વધુનો ખર્ચ
- 05 લાખનો વીમો પ્રત્યેક વ્યક્તિનો
- 15 તબીબો સાથેની ટીમ
- 15 મિકેનિક ટીમ
અહેવાલ : મુકેશ જોશી, મેહસાણા