Surat : શહેરમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા, તેના પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ હુમલાને કારણે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી, અને 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો સામે ગુજરાત પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશનમાં 400થી વધુ બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદમાં અને 100થી વધુ સુરતમાં અટકાયતમાં લેવાયા. આ ઝડપાયેલા લોકોમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. હાલ તેમના દસ્તાવેજોની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે કેટલાકે ગેરકાયદે રીતે ભારતના આધાર કાર્ડ પણ બનાવ્યા છે.
ગુજરાતનું સૌથી મોટું ઓપરેશન
ગુજરાત સરકારે રાજ્યના મોટા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તાત્કાલિક પકડવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ માટે પોલીસે પહેલેથી જ ગુપ્ત યોજના તૈયાર કરી હતી. અમદાવાદ અને સુરતમાં પોલીસની વિવિધ ટીમોને રાત્રે 2 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની કચેરીઓમાં એકઠા થવાની સૂચના આપવામાં આવી. આ ઓપરેશનને ગુજરાત પોલીસે વિદેશી નાગરિકો સામેનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન ગણાવ્યું છે. પોલીસની આ કાર્યવાહી પહેલગામ હુમલા બાદ વધતી સુરક્ષા ચિંતાઓ અને આતંકવાદી ગતિવિધિઓની શક્યતાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી.