Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે વરસાદના પગલે રાજ્યમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને 500 જેટલા લોકોનું કરાયું રેસ્ક્યૂ

રાજ્યમાં ગરમીથી કંટાળી ગયેલા લોકો હવે ભારે વરસાદના કારણે મુસિબતમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગે જનજીવન પર માઠી અસર કરી છે. ત્યારે આ ભારે વરસાદના કારણે 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વળી 500 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં રવિવારે બપોર બાદ મેઘરાજા મન મુકીà
ભારે વરસાદના પગલે રાજ્યમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને 500 જેટલા લોકોનું કરાયું રેસ્ક્યૂ
રાજ્યમાં ગરમીથી કંટાળી ગયેલા લોકો હવે ભારે વરસાદના કારણે મુસિબતમાં આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મેઘાની ધમાકેદાર બેટિંગે જનજીવન પર માઠી અસર કરી છે. ત્યારે આ ભારે વરસાદના કારણે 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વળી 500 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 
અમદાવાદમાં રવિવારે બપોર બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. શહેરમાં ઘણા સમયથી લોકો વરસાદની રાહ જોઇ રહ્યા હતા. રાજ્યમાં બધે જ વરસાદ પડી રહ્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં મેઘો જાણે સંતા કૂકડી રમી રહ્યો હોય તેવી લોકોમાં ચર્ચાઓ તેજ બની હતી. વળી અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ મન મુકીને વરસ્યો છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે, રાજ્યના ઘણા ગામડાઓ, જિલ્લાઓ પાણીમાં પૂરી રીતે ગરકાવ થઇ ગયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે 388 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું વર્તમાન પરિસ્થિતીને લઈને એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે રાજ્યમાં વરસાદી જોર ઘટ્યું  છે. ભારે વરસાદના કારણે આણંદમાં 630 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવા માટે તંત્ર કામે લાગેલું છે. વધુમાં કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે 10,700 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 508 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. 
રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે NDRFની વધારાની 5 ટીમો ગુજરાત પહોંચી છે. પંજાબથી 5 ટીમો એરલીફટ કરીને મંગાવાઈ છે. આ તમામ ટીમો દક્ષિણ ગુજરાતમાં ડિપ્લોય કરાઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં લોકો તણાઇ ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે ગરુડેશ્વરમાં આવેલો વિયર ડેમ ઓવરફલો થઇ ગયો છે. ડેમ ઓવરફ્લો થતા નર્મદા નદીમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુત્રોનું માનીએ તો સ્થિતિ હજુ પણ ખરાબ થઇ શકે છે. 
વળી વલસાડના ઔરંગા નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ યુવક ફસાયેલા લોકોની મદદ કરી રહ્યો હતો તે દરમિયાન તે ડૂબી ગયો હતો. NDRFની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. વળી બીજી તરફ 272થી વધુ પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ભારે વરસાદે રાજ્યને ઘમરોળ્યું છે. રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યના ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં, સુરત, તાપી, ડાંગ, નવસારી અને ખાસ કરીને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, નવસારીમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેરની તમામ શાળાઓમાં આવતીકાલે (મંગળવાર) રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ શિક્ષકોને હેડ કવાર્ટર ન છોડવા  આદેશ આપવામાં આવ્યા છે. તેમને ડિઝાસ્ટ્રરની કામગીરીમાં સહભાગી થવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.