ભુજમાં નર નારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
ભુજમાં નર નારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે આજે અમદાવાદ કાલુપુર મંદિર હસ્તકના ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રા સંપ્રદાયના કૌશલેન્દ્ર મહારાજ,લાલજી મહારાજની ઉપસ્થિતિમાં ભુજ શહેરના જ્યુબિલી સર્કલથી નીકળીને શહેરના વીડી સ્કૂલ ,બસ સ્ટેશન, સ્વામિનારાયણ મંદિર, કલેકટર કચેરી ,જય નગર રોડ થઈને બદ્રિકાશ્રમ સભા સ્થળ સુધી પહોંચી હતી.
ભવ્ય શોભા યાત્રામાં ભારતભરના જુદા-જુદા બેન્ડ પાર્ટી તેમજ વિદેશની જુદી જુદી બેન્ડ પાર્ટીઓ પણ જોડાઈ હતી તેની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારની ભજન મંડળી કે જે ખાસ વિવિધતા દેખાડે છે તે પણ જોડાઈ હતી. જુદા જુદા ગામ ગામના અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
જુદા જુદા ફ્લોટ્સ તૈયાર કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગ્યો હતો ,ભગવાન સ્વામિનારાયણના વિવિધ સ્વરૂપના દર્શન જોવા મળ્યા હતા,લાલ કિલ્લો,ગરૂડ,સંગીત સાધનો,શંખ આકાર,ભુજની પ્રતિકૃતિ,સહિતના ફ્લોટ્સએ આકર્ષણ જમાવ્યું હતું,ક્યારે પણ ન જોયા હોય તેવા ફ્લોટ્સ અહીં જોવા મળ્યા હતા,વિદેશથી આવેલા લોકોએ પણ આના વખાણ કર્યા હતા.
આ ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું,માર્ગ પર પાણી,ઠંડા પીણાં, આઈસ્ક્રીમ,કુલ્ફીની વ્યવસ્થા રાખવામાં આવી હતી,વર્ષો પછી સૌથી મોટી શોભાયાત્રા નીકળી હતી,પટેલ ચોવીસીના ગામોના હરિ ભક્તોએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી,માર્ગ પર ઠેર ઠેર હરિ ભક્તો જોવા મળ્યા હતા,સમગ્ર ભુજ શહેર આજે ભક્તિના રંગમાં રંગાયું હતું.મોટી સંખ્યામાં દેશ-વિદેશના સંતો,હરિ ભક્તો સાથે એન .આર. આઈ.જોડાયા હતા.