વીર સાવરકરના પોસ્ટર પર વિવાદ, શિમોગામાં તણાવ બાદ કલમ 144 લાગુ
કર્ણાટકના શિમોગામાં કેટલાક લોકોએ વીર સાવરકરના પોસ્ટર્સ હટાવી ટીપૂ સુલ્તાનના પોસ્ટર લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ બની ગયો છે. આ મામલો આમિર અહમદ સર્કલનો છે. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. હાલ શિમોગા ટાઉનમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
રવિવારે પણ આવો મામલો સામે આવ્યો હતો, જ્યાં વીર સાવરકરના પોસ્ટર્સને ફાડી દેવામાં આવ્યું હતું. જ્યારબાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો. આજે ફરી આવો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં બેંગલુરૂમાં કાલે ટીપૂ સુલ્તાનના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા.
મેંગલુરૂમાં પણ વીર સાવરકરના બેનર હટાવવામાં આવ્યા
તો મેંગલુરૂના સુરતકલ ચોકનું નામ હિન્દુત્વ વિચારક વી ડી સાવરકરના નામ પર રાખનાર એક બેનરને હટાવી દેવામાં આવ્યું છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓએ આ બેનર પર વિરોધ નોંધાવ્યો હતો. એસડીપીઆઈના સુરતકલ એકમે વિરોધ કર્યો અને પોલીસને માહિતી આપી હતી. કોર્પોરેશન કમિશનર અક્ષય શ્રીધરે બેનરને હટાવવાના આદેશ આપ્યા હતા, ત્યારબાદ રવિવારે સાંજે બેનરને હટાવી દેવામાં આવ્યા હતા.
કોર્પોરેશને મંજૂર કર્યો હતો પ્રસ્તાવ
મેંગલુરૂ શહેરના કોર્પોરેશને આ પહેલા મેંગલુરૂ ઉત્તરથી ભાજપના ધારાસભ્ય વાઈ ભારત શેટ્ટીની વિનંતી પર ચોકનું નામ બદલી સાવરકરના નામે રાખવાનો પ્રસ્તાવ મંજૂર કરી લીધો હતો. કોર્પોરેશન સાવરકરના નામ પર તેનું સત્તાવાર નામકરણ કરવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું.