ડૉક્ટરો પોતાની લાગણીઓ અને માંગણીઓ વ્યવસ્થાતંત્ર સુધી પહોચાડવા માટે બીજો કોઈ માર્ગ ન લઈ શકે?
આજકાલ અમદાવાદમાં સૌથી મોટી હોસ્પિટલમાં ડૉક્ટરોની હડતાલ ચાલી રહી છે. ડૉક્ટરોની લાગણી અને માંગણી કેટલા અંશે સાચી હશે તેતો આવનારો સમય નક્કી કરશે. પણ બી.જે મેડીકલ કોલેજના ૯૦૦ જેટલા જુનીયર ડોકટરો હડતાલ પર ઉતરી જતા શહેરનું આંખુ આરોગ્યતંત્ર ખોરવાય ગયું છે. સેંકડો દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પચાસ ટકા કરતા પણ વધારે ઓપરેશન રદ કરવા પડ્યા છે.
સમાજનો કોઈપણ વર્ગ પોતાનો અવાજ રજૂ કરવા માટે હડતાલ પાડેએ લોકશાહી રાજ્ય પરંપરામાં એનો અધિકાર ગણાય છે પણ ક્યારેક ક્યારેક એ અધિકારનો અનુચિત ઉપયોગ બહુજન સમાજ માટે રોજીંદા જીવનમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે.
આપણા સમાજમાં ડોક્ટર અને શિક્ષક એ બે એવા પવિત્ર વ્યવસાયો છે કે જેમના ખભા ઉપર અનેક લોકોના જીવન અને શિક્ષણની જવાબદારી હોય છે. ડોક્ટરની ભૂમિકા એટલા માટે વધારે મહત્વની બને છે કે એની સાથે માણસના જીવન મરણની અને માણસના દર્દની તથા એના ઉપચારની જવાબદારી રહેલી છે. સરકારી રાહે પણ આ બધી આવશ્યક સેવાઓ ગણાય છે.
ડોકટરો પોતાની લાગણીઓ અને માંગણીઓ વ્યવસ્થાતંત્ર સુધી પહોચાડવા માટે શું આ સિવાયનો બીજો કોઈ માર્ગ ન લઈ શકે? દર્દીઓને હેરાન થવું ન પડે એ રીતે કોઈ બીજો માર્ગ અપનાવીને પોતાનો અવાજ રજુ કરવાનો માર્ગ અપનાવવો એ આજના યુગનો સાચો “ડોક્ટર ધર્મ” ગણાવો જોઈએ. આપણે આશા રાખીએ કે એ દિશામાં સૌ કોઈ સકારાત્મક રીતે વિચારતા થશે અને સૌને ન્યાય મળે અને સૌનું ભલું થાય તે દિશામાં આપણે આગળ વધીએ.