એશિયા કપ શરુ થતા પહેલા ટીમ ઈન્ડીયાને લાગ્યો ઝડકો, ફાસ્ટ બોલર નહીં રમે? જાણો શું થયું
યુએઈમાં 27 ઓગસ્ટથી એશિયા કપ શરુ થઈ રહ્યો છે પરંતુ તે પહેલ ટીમ ઈન્ડીયાને એક મોટો ઝટકો લાગ્યો છે. પીઠની ઈજાને કારણે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને એશિયા કપમાંથી પડતો મૂક્યો છે. બુમરાહને એશિયા કપમાંથી ટોટલ આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ નામ ન છાપવાની શરતે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે બુમરાહ એશિયા કપમાં નહીં રમે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "જસપ્રિત બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને તેથી તે એશિયા કપમાં નહીં રમી શકે. બુમરાહ ભારતનો મુખ્ય બોલર છે અને અમે ઇચ્છીએ છીએ કે તે ટી -20 વર્લ્ડ કપ પહેલા તેના ઓરિજનલ ફોર્મમાં પાછો આવી જાય પરંતુ તે પહેલા અમે તેને એશિયા કપમાં રમાડવાનું જોખમ ન લઈ શકીએ કારણ કે તેનાથી ઈજામાં વધારો જ થઈ શકે છે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડીયાની હજુ સુધી જાહેરાત કરાઈ નથી
એશિયા કપની ટૂર્નોમેન્ટમાં ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. આ મેચના 20 દિવસ પહેલા ભારતને આ ખરાબ સમાચાર મળ્યા છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ માહિતી અનુસાર બુમરાહ કમર અને પીઠની ઈજાથી પરેશાન છે તેથી તેને આરામ આપવામાં આવ્યો છે.
બુમરાહને વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે શ્રેણીમાંથી પણ અપાયો હતો આરામ
જસપ્રિત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનો છેલ્લો ભાગ હતો. ત્યાર બાદ આ સ્ટાર ફાસ્ટ બોલરને વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી પણ આરામ આપવામાં આવ્યો હતો. હવે પીઠની સમસ્યાના કારણે બુમરાહ થોડો સમય બહાર રહી શકે છે.
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી યોજાશે એશિયા કપ
એશિયા કપનો કાર્યક્રમ તો જાહેર થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી ટીમ ઈન્ડીયાની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તે પહેલા બુમરાહને સંપૂર્ણ આરામ આપવામાં આવ્યો છે. યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટ માટે પહેલેથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ સાથે જ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ બાદ છઠ્ઠી અને અંતિમ ટીમ નક્કી કરવામાં આવશે. હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈની છ ટીમોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ 20મી ઓગસ્ટથી થશે.